Friday, October 1, 2010

પોન્ટિંગ-ઝહીર વચ્ચે ઉગ્ર બોલાચાલી

પોન્ટિંગ-ઝહીર વચ્ચે ઉગ્ર બોલાચાલી

મોહાલી ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ફરી એક વખત બન્ને ટીમો વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. જેમાં રન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોન્ટિંગે ભારતીય બોલર ઝહીર ખાન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે બન્ને દેશો વચ્ચેની આ શ્રેણી વિવાદોથી બાકાત રહેશે નહીં. ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ 71 રન પર રમી રહ્યો હતો. તે સમયે રન લેવા જતા તે સુરેશ રૈનાના હાથે રન આઉટ થયો હતો. રન આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયા એકઠી થઇને વિકેટ મળ્યાની ખૂશી માણી રહી હતી. તે જ સમયે રિકી પોન્ટિંગ અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી થઇ હતી. આ રીતે વિવાદ સર્જાયો. વિડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે 71 રને આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે પોતાનું બેટ હવામાં ઘુમાવ્યું હતું અને નારાજગી વ્યક્ત કરી હતી. એ વચ્ચે પોન્ટિંગ ભારતીય ટીમની નજીકથી પસાર થયો હતો. જ્યાં બધા ખેલાડીઓ પોન્ટિંગ આઉટ થયોની ઉજવણી કરી રહ્યાં હતા. પોન્ટિંગ નજીકથી પસાર થતાં ઝહીર ખાને ટીપ્પણી કરી હતી. ભારતીય બોલર ઝહીર ખાનની ટીપ્પણી સાંભળી જતાં પોન્ટિંગ તુરત જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પાસે આવ્યો હતો. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે દરમિયાન પોન્ટિંગે ઝહીર ખાનને ઘમકાવવાના અંદાજમાં બેટ પણ બતાવ્યું હતું. જેના જવાબમાં ઝહીરે પણ તેની તરફ આગળ વધતો હોય તેવા સંકેત આપ્યા હતા. જો કે, ભારતીય ખેલાડીઓએ તેને રોકી લીધો હતો. બાદમાં અમ્પાયર બિલ્લી બાઉડને વચ્ચે પડીને મામલાને થાળે પાડ્યો હતો.નિયમ અનુસાર કોઇપણ ખેલાડી આઉટ થઇ ગયા બાદ પેવેલિયનમાં પરત ફરતો હોય છે. પછી ભલે વિરોધી ટીમના ખેલાડીઓ દ્વારા ટીપ્પણી કરવામાં આવતી હોય પરંતુ પોન્ટિંગે તે નિયમનું ઉલ્લંઘન કર્યું છે.હરભજન-સાયમન્ડ્સ વિવાદ પણ ખાસો ચર્ચાયો હતો. નોંધનિય છે કે જાન્યુઆરી 2008માં હરભજન ઉપર વંશિય ટિપ્પણીનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ વિવાદ મીડિયામાં ખાસો ચર્ચાનો વિષય બન્યો હતો.બન્ને ટીમોએ કહ્યું હતું કે વિવાદ નહી સર્જાય,નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન સુકાની પોન્ટિંગે મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તે આ શ્રેણી વિવાદ વગર પૂર્ણ કરવા માગે છે. જ્યારે ધોનીએ પણ ટેસ્ટ શ્રેણી દરમિયાન વિવાદ નહીં સર્જાય તેમ જણાવ્યું હતું. પરંતુ મોહાલી ટેસ્ટના પ્રથમ દિવસે જે સ્થિતિ જોવા મળી છે તેનાથી નથી લાગતું કે બન્ને દેશો વચ્ચેની શ્રેણી વિવાદ વગર પૂર્ણ થશે.


મોહાલી ટેસ્ટઃ વોટ્સનની સદી

મોહાલી ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. કાટિચ માત્ર છ રન બનાવી ઝહીર ખાનની ઓવરમાં એલબી આઉટ થયો છે. કાટિચ બાદ ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાની વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા છે. ભારતીય બોલરોની નિષ્ફળતાનો ફાયદો વોટ્સન ઉઠાવી રહ્યો છે. લંચ બાદ પણ ઓસ્ટ્રેલિયાના બન્ને ખેલાડી પોન્ટિંગ અને વોટ્સને વિસ્ફોટક અંદાજ જાળવી રાખ્યું છે. પોન્ટિંગ 71 રનના વ્યક્તિગત સ્કોર પર પોન્ટિંગ રેનાના હાથે રન આઉટ થયો હતો. જ્યારે ક્લાર્ક 14 રનના વ્યક્તિગત સ્કોર પર હરભજનની ઓવરમાં દ્રવિડના હાથે કેચ આઉટ થયો છે. માઇક હસ્સી પણ 17 રન બનાવી ઝહીર ખાનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. તો નોર્થ માત્ર ચાર રન પર ઝહીરની ઓવરમાં બોલ્ડ થયો છે. જો કે, બીજા છેડે વોટ્સન ભારતીય બોલરો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. તેણે 260 બોલનો સામનો કરીને 8 ચોગ્ગાની મદદથી 100 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 222 રન બનાવી લીધા છે. પોન્ટિંગે કહ્યું છે કે, તેઓએ સારી તૈયારી કરી છે. અમને પ્રેક્ટિસ કરવાનો સારો એવો સમય મળ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી અમારા સમયની શ્રેષ્ઠ શ્રેણીમાની એક છે.ભારત ટોસથી ખૂશ થયું નથી. ધોનીએ કહ્યું છે કે, અમારે સારું પ્રદર્શન કરવું પડશે. અમે પ્રેક્ટિસ કરવા માટે પુરતો સમય મળ્યો હતો. આશા રાખું છું કે વિવાદો મેચથી દૂર રહેશે અને સારી રમત જોવા મળશે. હરભજન ફીટ છે અને તે મોહાલી ટેસ્ટ રમશે. ટીમ ઇન્ડિયાના અંતિમ 11 ખેલાડીમાં સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામં આવ્યો નથી.


'શા માટે ઇરફાનને તક નથી અપાતી'

એક સમયે ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મનોજ પ્રભાકરનું કહેવું છે કે, ભારતીય બોલરોમાં સારી બોલિંગની ઇચ્છાશક્તિ મરી પરવારી છે. જ્યારે પાકિસ્તાન આ મામલે હજૂપણ શ્રેષ્ઠ છે. જો કે, તેમને એ વાત હજૂ પણ નથી સમજાતી કે ઇરફાન પઠાણ જેવા ઉમદા બોલરને શા માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવતું નથી.1980-90ના દશકામાં ભારતીય બોલિંગની કમાન સંભાળનાર પ્રભાકરે ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ભારત પાસે ઓલરાઉન્ડર ખેલીડીઓની અછત એ ચિંતાજનક બાબાત છે. ઇરફાન પઠાણ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે, ઇરાફન ઘણો જ સારો બોલર અને ઉપયોગી બેટ્સમેન છે, પરંતુ શા માટે તેનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવતો નથી તે સમજી શકાતું નથી.


CWG: ઓસી.ના ખેલમંત્રીને કડક સુરક્ષાનો પરચો

ભારતમાં યોજાઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સને લઇને અનેક નકારાત્મક પ્રશ્નો બહાર આવ્યા હોય. તેમાં પછી ગેમ્સ વિલેજની તૈયારી હોય કે પછી ખેલાડીઓની સુરક્ષાની. જો કે, ભારતમાં ખેલાડીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરનાર ઓસ્ટ્રેલિયાને કડક સુરક્ષાનો જોરદાર પરચો મળી ગયો છે.માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાના ખેલમંત્રી માર્ક અર્બિબ કોમનવેલ્થ ગેમ્સ વિલેજ પહોંચ્યા હતા. જ્યાં ખેલાડીઓની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખેલમંત્રી જ્યારે પોતાની ગાડીમાં ગેમ્સ વિલેજ પહોંચ્યા ત્યારે તેઓને જતા અટકાવવામાં આવ્યા હતા. અને તેઓએ ચાલીને પોતાના દેશના ખેલાડીઓને મળવા જવું પડ્યું હતું.ઓસ્ટ્રેલિયન ખેલમંત્રી આજે સવારે પોતાના દેશના એથ્લિટ્સને મળવા માટે ગેમ્સ વિલેજ પહોંચ્યા હતા. જો કે, ગેટ નં.2 પર તેનાત અધિકારીઓએ તેમને ગાડી સાથે અંદર જવા દીધા ન હતા. કારણ કે, તેઓની પાસે કોમ્પલેક્ષમાં દાખલ થવા માટેનું એક્રેડિશન કાર્ડ ન હતું. છેવટે તેઓ ચાલીને પોતાના ખેલાડીઓના રૂમ સુધી ગયા હતા.


કર્મચારીએ ગોડાઉનના શટર તોડીને ૧ લાખનુ ઓઇલ વેચી દીધું

ટેકનોલોજી એન્જીનિયરિંગ રિલાયન્સ કોમ્યુનિકેશન લીમીટેડ કંપનીના જૂનાગઢ ખાતે આવેલા ગોડાઉનના શટર તોડીને રૂ. ૧,૦૬,૪૩૬ ની કિમતના ઓઇલના ૮૨ કેરબાની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને કંપનીના કર્મચારી અને ચોરાઉ ઓઇલ ખરીદનાર વેપારીની ધરપકડ કરી હતી.અમદાવાદના નવા વાડજમાં રહેતા અને ઉપરોકત કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા જતિનકુમાર રમાકાંત દોશીએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલીને જૂનાગઢના હર્ષદનગરમાં રહેતા કંપનીના કર્મચારી અનિલ મહેશભાઇ ધામેચા (ઉ.વ.૨૦) અને ચોરાઉ ઓઇલ ખરીદનાર અલાઉદ્દીન જમાલભાઇ અંસારીની ધરપકડ કરી ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો હતો.


ધોરાજી : કારઆનામાં વીજ આંચકો લાગતા કર્મચારીનું મોત

ધોરાજીના ફરેણી રોડ પર રહેતા નિલેશ ગોરધનભાઇ (ઉ.વ.૩૭) નામના યુવાનનું આજે સવારે વીજ આંચકાથી મૃત્યુ નિપજ્યું હતું. નિલેશ પ્લાસ્ટીક મટીરીયલ્સના કારખાનામાં નોકરી કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વેળા વીજ કરંટ લાગતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જયાં ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડી દીધો હતો.



નાગરિકોએ 'ગૌરવસભર' પ્રતિક્રિયા આપી : કેન્દ્ર

ગુરૂવારે અલ્લાહબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા અયોધ્યાની વિવાદાસ્પદ જમીન અંગે ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેની દેશની નાગરિકોએ સંયમિત પ્રતિક્રિયા આપી છે. ત્યારે કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર વતી દેશના નાગરિકોનો આભાર માન્યો હતો અને ઉમેર્યું હતુંકે, વર્તમાન સંજોગોમાં કેન્દ્ર સરકારે કાંઈપણ કરવાનું નથી રહેતું, કારણકે, દેશએ અલ્લાહબાદ હાઈકોર્ટે યથાસ્થિતી જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.પત્રકારો સાથે વાતચીતમાં પી. ચિદમ્બરમે કહ્યું હતુંકે, આ ચૂકાદો સુપ્રીમ કોર્ટમાં જશે તેમ માની લેવાને પૂરતા કારણો છે. ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા સુપ્રીમ કોર્ટ વચગાળાનો આદશ આપી શકે છે. આથી, આ સંજોગોમાં કેન્દ્ર સરકારે કાંઈપણ કરવાનું નથી રહેતું. તેમણે ઉમેર્યું હતુંકે, દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકાર સતર્ક છે.


રાજકોટમા સ્વાઇન ફ્લૂથી યુવતીનું મોત

સૌરાષ્ટ્રમા વધી રહેલી સ્વાઇન ફલૂની મહામારીએ અનેક માનવ જીંદગીનો ભોગ લઇ લીધો છે. રાજકોટની વોકહાર્ડ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમા સારવાર લઇ રહેલી રાજકોટ જિલ્લાના સનાળા ગામની ભાનુબેન વઘાશીયા (ઉ.વ.૨૧) નામની યુવતીએ આજે સવારે વ્હેલી સવારે સાડાચાર વાગ્યે દમ તોડયો હતો. યુવાન પુત્રીના મોતથી પરિવારમા શોકનું મોજુ ફરિ વળ્યુ છે.

No comments:

Post a Comment