Thursday, October 7, 2010

આવતીકાલે અમિત શાહના જામીનનો ફેંસલો

આવતીકાલે અમિત શાહના જામીનનો ફેંસલો

આવતીકાલે અમિત શાહના જામીન અંગે કોર્ટ ચુકાદો જાહેર કરાશે.ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રખાયેલા ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહના જામીનનો ચુકાદો કાલે જાહેર કરાશે.. આવતીકાલે શાહને જામીન મળશે કે નહિ તે અંગે રાજ્યભરમાં ઉત્તેજના છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા કેસમાં સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા હતા.ધરપકડ બાદ અમીત શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી તેની સુનવણી પુરી થઇ ગઇ છે. અનિ આવતીકાલે તેનો ચુકાદો હાથધરવામાં આવનાર હોઇ સૌને શાહને જામીન મળશે કે કેમ તે જાણવાની ઉત્તેજના છે.


ઓસ્ટ્રેલિયન સાયકલિસ્ટનું ટક્કર માર્યા બાદ અભદ્ર વર્તન

દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અભદ્ર વર્તન કરવાના કારણે તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને નોટિસ પર રાખવામાં આવ્યા છે. લાગે છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ તેમના દેશના ક્રિકેટરોના પગલે ચાલી રહ્યા છે. કેમ કે કાંગારૂ ક્રિકેટરો તેમની આવી હરકતો માટે જાણીતા છે. ઓસ્ટ્રેલિયન ટીમના વડા સ્ટીવ મોનેઘેટ્ટીએ કહ્યું હતું કે તમામ ખેલાડીઓને સ્પષ્ટપણ જણાવી દેવામાં આવ્યું છે કે ખેલાડીઓના કોઈ પણ ગેરવર્તનને ચલાવી લેવામાં નહીં આવે.મંગળવારના રોજ ભારતીય કુસ્તીબાજ સામે ગોલ્ડ મેડલ હારી ગયા બાદ ઓસ્ટ્રેલિયન કુસ્તીબાજ હસન ફકીરીએ તેના ટીમના ખેલાડીઓ અને અધિકારીઓ તરફ બે આંગળીઓ બતાવી હતી.હવે ઓસ્ટ્રેલિયન સાયકલિસ્ટ શેન પર્કિન્સ પણ ફકીરીના પગલે ચાલતા બુધવારે સેમિફાઈનલમાં જોખમી રીતે સાયકલ ચલાવવા બદલ તેને ડિસક્વોલિફાઈ કર્યા બાદ તેણે પણ અધિકારીઓ સામે બે આંગળીઓ ચીંધી હતી.પોતાની ગેરવર્તણૂંક બદલ ફકીરીનો સિલ્વર મેડલ છીનવી લેવામાં આવ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયન કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન દ્વારા તેને 12 મહિનાની સમાજ સેવા અંતર્ગત બાળકોને કોચિંગ આપાવની સજા ફટકારી હતી. જ્યારે પાર્કિન્સને પણ ગુરૂવારના રોજ તેની સજા સભળાવવામાં આવશે.શેન પાર્કિન્સ પર આરોપ છે કે તેણે સ્પર્ધા દરમિયાન ખતરનાક ડ્રાઈવિંગ કર્યુ હતું જેના કારણે દક્ષિણ આફ્રિકા અને સ્કોટલેન્ડના સાયકલિસ્ટ અંદરોઅંદર અથડાઈ ગયા હતા. એટલું જ નહીં પાર્કિન્સે તેની આ હરકતની માફી માંગવાના બદલે અધિકારીઓ સામે બે આંગળી કરીને સલામ કરી તેમની મજાક ઉડાવી હતી. અધિકારીઓએ તેને સ્પર્ધામાંથી ડિસક્વોલિફાઈ કરી દીધો હતો.


CWGમાં ઈતિહાસ રચનારી રેણુબાલાનું અપમાન

કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિ પહેલાથી જ તેની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે વિવાદોમાં રહી ચૂકી છે અને ભારતના ઈજ્જત પર કાળો ધબ્બો લગાવી ચૂકી છે.પરંતુ હવે તેની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આયોજન સમિતિ તેના ચેમ્પિયન ખેલાડીઓનું કેટલું ધ્યાન રાખે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.ભારત માટે વેઈટલિફ્ટિંગમાં 58 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી રેણુ બાલા ચાનૂને સ્પોર્ટ્સ વિલેજ જવા એક પણ અધિકારી એક ગાડી પણ પૂરી પાડી શક્યા નહોતા.ગોલ્ડ મેડલ જીતીને થોડા કલાકો સુધી રેણુબાલાને ગાડી માટે અહીં-તહીં ભટકતી જોવા મળી હતી પરંતુ જ્યારે ઘણો સમય થયો છતાં તેને ગાડી ના મળી તો તે પોતાના પરિવાર સાથે રિક્ષામાં જતી રહી હતી.આ છે ભારતીય વેઈટલિફ્ટિંગમાં ઈતિહાસ રચનારા સ્ટાર ખેલાડીની મજબૂરી કે તેણે રિક્ષામાં સ્પોર્ટ્સ વિલેજ જવું પડે છે. એટલું જ નહીં તેનો પરિવાર પણ તેની સાથે હતો. આ અંગે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમ કહીંને જવાબદારી માંથી છટકી ગયા કે તેમને નહોતી ખબર કે તેઓ ગાડીમાં નથી આવી.ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા વેઈટલિફ્ટર રેણુ બાલા ચાનુએ કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 58 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.મણિપુરની રેણુબાલા ફાઈનલમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી. વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા વેઈટલિફ્ટિંગમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ દેશના ખાતામાં આવી ચૂક્યા છે.


“સ્પોર્ટ્સ વિલેજમાં કોન્ડોમનો ઉપયોગ સારી વાત છે”

સ્પોર્ટ્સ વિલેજના ટોયલેટ કોન્ડોમના કારણે બ્લોક થઈ જવાથી ભલે વિવાદ ઉભો થયો હોય પરંતુ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ માઈક ફેનલે આ વાતને સકારાત્મક ગણાવતા કહ્યું છે કે ખેલાડીઓ સુરક્ષિત સેક્સ માણી રહ્યા છે.અક્ષરધામની નજીક બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ વિલેજમાં ખેલાડીઓ મોટી સંખ્યામાં કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ વિલેજના ટોઈલેટ કોન્ડોમના કારણે બ્લોક થઈ જવા અંગે પૂછતા સીજીએફના અધ્યક્ષે કહ્યું હતું કે જો આવું થઈ રહ્યું છે તો તેનાથી સાબિત થાય છે કે કોન્ડોમનો ઉપયોગ થઈ રહ્યો છે જે ઘણી હકારાત્મક વાત છે.તેમણે કહ્યું હતું કે થોડા સમય પહેલા આ મામલો વિવાદસ્પદ હતો પરંતુ હવે નથી. સુરક્ષિત સેક્સને મહત્વ આપવું ઘણી મહત્વની વાત છે.1992માં બાર્સિલોનામાં યોજાયેલા કોમનવેલ્થ પછી તમામ સ્પોર્ટ્સ વિલેજમાં કોન્ડોમ મફતમાં આપવામાં આવે છે. જેથી કરીને એઈડ્સ જેવા રોગો પ્રત્યે જાગરૂકતા ફેલાવી શકાય. બેઈજિંગ ઓલિમ્પિકમાં એક લાખ કોન્ડોમ વેચાયા હતા.ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ વિલેજમાં કેટલાક ખેલાડીઓએ તેમના ટોઈલેટ બ્લોક થઈ જવાની ફરિયાદ કર્યા બાદ પ્લમ્બરને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ટોઈલેટની સફાઈ બાદ તેમાથી કોન્ડોમ મળતા હતા.


'બાયલા' છે ડાબેરીઓ: મમતા બેનરજી

તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ સીપીઆઈ-એમ ઉપર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ મુ્કોય છેકે, રાજકીય સ્પર્ધામાં ડાબેરીઓ તેમને પહોંચી નથી શકતા, આથી, તેઓ લોકોને ડરાવવા માટે બંદુકનો ઉપયોગ કરે છે.પશ્ચિમ બંગાળના મિદનાપુર જીલ્લામાં એક જંગી સભાને સંબોધતા સુશ્રી મમતા બેનરજીએ કહ્યું હતુંકે, ગુરૂવારથી તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતરશે અને આ વિસ્તારમાંથી સંયુક્ત દળોને દુર કરવાની માગ કરશે. મમતા બેનરજીએ રાજકીય નિવેદન કરતા જણાવ્યું હતુંકે, "જો તેમનો પક્ષ સતા ઉપર આવ્યો તો આ વિસ્તારમાં નોંધાયેલા 'ખોટા કેસ' પાછા ખેંચી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુંકે, તેમની સરકાર સત્તા ઉપર આવશે એટલે આ વિસ્તારમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા કાર્યકરોને છોડી દેવામાં આવશે.મમતા બેનરજીએ આક્ષેપ મુક્યો હતોકે, '' સીપીઆઈ-એમ તેમને મારી નાખવા માગે છે. તેમણે અગાઉ પણ આ માટેના પ્રયાસો કર્યા છે, પરંતુ. તેઓ મને મારી શકશે, તૃણમુલને ખત્મ નહીં કરી શકે. લોકો સીપીઆઈ-એમના ગુંડાઓનો પ્રતિકાર કરતા રહેશે. ગુરૂવારથી ચળવળ ચાલુ કરવા માટે શિર્ષસ્થ નેતાઓને સૂચના આપી છે. જેઓ જંગલમહેલમાં કાર્યવાહી હાથ ધરશે.''


અમેરિકામાં ભારતીય યુવાનો છવાયા

ભારતનો યુવા બ્રિગેડ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ પોતાની કારોબારી કોઠાસૂજથી લોકોનું ધ્યાન પોતાની બાજુ ખેંચે છે.હવે અમેરિકામાં વેનિટી ફેયર 'નેકસ્ટ એસ્ટેબ્લિશમેંટ 2010' યંગ એમ્પાયર બિલ્ડર્સ નામથી પ્રકાશિત કરવામાં આવેલા લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ યુવાનોના નામ શામેલ કરવામાં આવ્યા છે.ખાસ વાત તો એમ છે કે આ 39 લોકોના લિસ્ટમાં દેસી હિટ્સ વેબસાઇટની સહ-સંસ્થાપક, ભારતીય મૂળની અંજુલા અચારિયા બાથને બીજા સ્થાને જગ્યા મળી છે.આ જ પ્રમાણે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર કંપની ફોરસ્ક્વેરના સંસ્થાપક નવીન સેલ્વાદુરઈને આ લિસ્ટમાં 9માં સ્થાને જગ્યા મળી છે. તેમની ઉંમર માત્ર 28 વર્ષ છે.લિસ્ટમાં 33માં સ્થાને પણ ભારતીય મૂળના શ્રીધરને જગ્યા આપવામાં આવી છે. તેમની કંપની એક ખાસ ડિવાઇસ બનાવે છે, જેની મદદથી નેચરલ ગેસ વડે વિજળી ઉત્પન્ન કરી શકાય છે.ટૂંકમાં હવે ભારતીય યૂવાનો વિદેશોમાં પણ પોતાનો જલ્વો બતાવી રહ્યાં છે, અને તે સમય હવે દૂર નથી જ્યારે વિદેશોમાં ભારતીય યૂવાનોનો ઇજારો હશે. ભારતીય યૂવાનો વિશ્વને એક નવી ઉંચાઈએ લઈ જશે.


નિંદ્રાધીન બાળકીને દીપડો ઉઠાવી જઇ ફાડી ખાધી

અમરેલી જિલ્લાના સરસીયા રેન્જમા છેલ્લા દસેક દિવસથી દીપડો ઓના આતંકથી ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે. ત્યારે ચલાલાના ગોપાલગ્રામની સીમમા મનુભાઇ ઠુમ્મરની વાડીમા મજુરી કામ કરતા આદીવાસી પરિવારની નિંદ્રાધીન સાત વર્ષની બાળકીને ગત રાત્રે વાડીમા ઘુસી આવલો દપિડો ઉઠાવી જઇ ફાડી ખાતા અરેરાટી મચી ગઇ છે.બનાવની મળતી વિગતો મુજબ, મુળ મધ્યપ્રદેશનો અદિવાસી પરિવાર ગત રાત્રે કામ કરી સુઇ ગયો હતો. ત્યારે રાત્રીના સમયે વાડીમા ઘુસી આવેલો દીપડો મીઠી નિંદર માણી રહેલી ચંદ્રીકા નામની બાળકીને ગળેથી પકડી વાડીથી પ૦૦ મીટર દુર લઇ જઇ ફાડી ખાધી હતી. રાત્રીના સમયે પુત્રી નજરે નહીં પડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા બાળકીનો લોહીલુહાણ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસ તેમજ વન વિભાગના અધિકારીઓ તુરંત દોડી ગયા હતા અને મૃતક બાળકીના પરિવારજનોને વળતર આપવા તજવીજ હાથ ધરીછે. ઉલ્લેખનિય છે કે, સરસીયા રેન્જમા દસેક દિવસથી દિપડાઓનો આતંક વધ્યો છે. ત્યારે આજે દપિડાએ બાળકીને ફાડી ખાધાનો બનાવ પ્રકાશમા આવતા ગ્રામજનોમા ભયનો માહોલ ફેલાયો છે.


એનસીપીના ઉમેદવારની પુત્રવધુનો ગળાફાંસો ખાઇને આપઘાત

અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ મુકી દુપટ્ટાથી લટકી ગઇ, ચૂનારાવાડમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને મનાપાની ચૂંટણીમાં હાલના એન.સી.પી.ના ઉમેદવાર મોહનભાઇ સરવૈયાના પુત્રવધુ પ્રભાબેન દિનેશભાઇ સરવૈયા (ઉ.વ.૪૦)એ આજે વ્હેલી સવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે પ્રભાબેન નજરે પડ્યા ન હતા. દરમિયાન અગાસીમાં બે દિવાલ વચ્ચે પ્રભાબેનનો મૃતદેહ લટકતો જોઇને સ્તબ્ધ બની ગયા હતા. પ્રભાબેન અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ ગોઠવી, તેમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.સરવૈયા પરિવારે પોલીસને જણાવ્યા મુજબ, પ્રભાબેન કેટલાક દિવસથી માનસિક હાલત બરાબર ન હતી. આથી ગતરાતે ભૂવાને બોલાવીને દાણા નખાવ્યા હતા. અને આજે સવારે તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.


મહિલાના ડોકમાંથી સોનાના ચેનની ચિલઝડપ
શહેરમાં ચિલઝડપ કરતી ગેંગના બે સભ્ય ગઇ કાલે ભિક્તનગર સ્ટેશન પ્લોટમાં ટ્રાન્સ્પોર્ટ કંપનીના કર્મચારીને નિશાન બનાવી એક લાખની રોકડ ભરેલા થેલાની ચિલઝડપ કરી ગયા હતા. જેની તપાસ પણ શરુ નથી થઇ ત્યાં આવે ભિકતનગર વિસ્તારમાં ગાયને ઘાસચારો નાખવા નિકળેલા મહિલાની ડોકમાંથી બાઇક સવાર બે શખ્સ સોનાના બે તોલા વજનના ચેનની ચિલઝડપ કરી ગયા હતા.ગીતાનગરમાં ધર્મજીવન સોસાયટીમાં રહેતા અમૃતાબેન કરસનભાઇ વેકરિયા આજે સવારે સાડાસાત વાગ્યે ગુરુકૃપા સોસાયટી પાછળ ગાયને ઘાસ નાખવા ગયા હતા. ત્યારે અચાનક ડબલ સવારી બાઇકમાં આવેલા અજાણ્યા શખ્સ મહિલાના ડોકમાંથી ચેનની ચિલઝડપ કરીને વજિળીવેગે પલાયન થઇ ગયા હતા. મહિલાએ આ અંગે પોલીસને જાણ કરી હતી.


મારૂતિએ ગ્રાહકો માટે એક અનાખું કાર્ય કર્યું

દેશમા સૌથી વધારે કારો વેચનારી કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પોતાના ગ્રાહકોની સગવડ માટે એક અનોખું કાર્ય શરૂ કર્યું છે. મારૂતિએ પોતાના ગ્રાહકો માટે દેશભરમાં પ્રત્યેક 25 કિલોમીટર ઉપર એક સર્વિસ આઉટલેટ ખોલવાનું લક્ષ બનાવ્યું છે.
વાસ્તવમાં ભારતીય બજારમાં મારૂતિ સુઝુકી બે લાખ રૂપિયાની મારૂતિ 800થી લઈને 16 લાખ રૂપિયાની ગ્રેન્ડ વિટારા સુધી વેચે છે અને સ્થાનીક બજારમાં તેની ભાગીદારી 50 ટકા છે.આવામાં કંપનીએ હવે એમ વિચાર્યું છે કે દુરદુરના વિસ્તારોમાં રહેનારા ગ્રાહકોને પણ સર્વિસની બાબતમાં કોઈ જ તકલીફ ના ઉઠાવવી પડે. એટલા માટે જ કંપનીએ મોટી સંખ્યામાં પોતાના નવા સર્વિસ સ્ટેશન ખોલવાની જાહેરાત કરી છે.તમને જણાવી દઇએ કે વર્ષ 2015 સુધી મારૂતિ કંપની પોતાની અત્યારના વેચાણના આંકડા બમણા કરીને 20 લાખ યૂનિટ સુધી લઈ જવાની યોજના બનાવી રહી છે.જરૂરી છે કે કારોનું વેચાણ વધશે તો તેની સર્વિસ માટે તેટલા સર્વિસ સ્ટેશનો પણ ઉભા કરવા પડશે. અત્યારે કંપનીના સર્વિસ નેટવર્કમાં 2700 આઉટલેટ છે, જેને વધારીને તેઓ 4200 સુધી પહોચાડવા માંગે છે.


'રેમ્પ વોક સમયે એશ્વર્યાની નજર ફક્ત અભિ પર જ હતી'

હાલમાં HDIL- ઈન્ડિયન કાઉન્ટર વિકમાં મનિષ મલ્હોત્રાનાં કપડાંનું ક્લેક્શન રજુ કરી એશ્વર્યા રાય બચ્ચન શો સ્ટોપર બની હતી. આ દરમિયાન સ્ટેજ પર પહોચતાં જ તેણે તેનાં પતિ અભિષેક બચ્ચન તરફ નટખટ આંખનાં ઈશારા કર્યા હતાં. તેમજ તેને ફ્લાયિંગ કિસ કરી હતી.આ કાઉન્ટર વિક બુધવારે ચાલુ થયું હતું અને જે હજી 10 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં અન્ય ડિઝાઈનર્સનું ક્લેક્શન પણ રજુ થશે.એશ્વર્યા રાય મનિષ મલ્હોત્રાનાં સફેદ ઘાઘરા ચોલી ક્લેક્શનમાં ઘણી જ સુંદર લાગતી હતી. એશ્વર્યાએ રેમ્પ વોક ચાલુ કર્યુ ત્યારથી તેની આંખો ફક્ત અને ફક્ત અભિષેક ઉપર જ હતી તેમજ તેણે તેને ફ્લાઈંગ કિસ પણ કરી હતી.શો બાદ એશ્વર્યા અભિને ભેટી પડી હતી. બન્ને જાણે કેટલાંય પ્રેમમાં હોય તેમ દેખાઈ આવતું હતું. જુનિયર બચ્ચન રેમ્પ વોક દરમિયાન તાળીઓથી તેને વધાવી રહ્યો હતો અને એશ તેને એકી ટસે નીહાળી રહી હતી.આ ફેશન વિકમાં ફક્ત ફિલ્મી હસ્તીઓની હાજરી હોય તેમ ન હતું પણ શોમાં અન્ય ઘણી જગ્યાએથી મહેમાનોએ હાજરી આપી હતી.


'મંદિર-મસ્જિદ' બાજુએ મુકો: બાબા રામદેવ

વિખ્યાત યોગગુરૂ રામદેવએ એવો મત વ્યક્ત કર્યો છેકે, દેશવાસીઓ હાલમાં મંદિર-મસ્જિદના વિવાદોમાં પડવાના બદલે ભારતની ઉન્નતીનો વિચાર કરવો જોઈએ. તેમના મતે, ભગવાન શ્રી રામ માત્ર હિન્દુઓ ના જ ન હતા પરંતુ સમગ્ર માનવજાતિના હતા.નવીદિલ્હી ખાતે યોજાઈ રહેલા કોમનવેલ્થ રમતોત્સવ અંગે મત વ્યક્ત કરતા બાબા રામદેવ કહ્યું હતુંકે, ભારતના રમતવીરો આ રમતોત્સવમાં પદકો જીતી રહ્યાં છે પરંતુ આપણએ એ ન ભૂલવું જોઈએકે, આ રમતના આયોજનમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર થયો છે. જેના કારણે, સમગ્ર વિશ્વમાં આપણું નામ બદનામ થયું છે. તેમણે ભ્રષ્ટાચારીઓને સજા કરવાની પણ માગ કરી હતી.તાજેતરમાં અયોધ્યામા રામજન્મભૂમિ અંગે અલ્લાહબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતુંકે, દેશવાસીઓ હાલમાં મંદિર-મસ્જિદના વિવાદોમાં પડવાના બદલે ભારતની ઉન્નતીનો વિચાર કરવો જોઈએ. તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો હતોકે, રામ માત્ર હિન્દુઓ ના જ ન હતા પરંતુ સમગ્ર માનવજાતિના હતા ,ઉલ્લેખનીય છેકે, બાબા રામદેવ હાલ ભારત સ્વાભિમાન યાત્રા પર છે. જે તેમણે જનમાષ્ટમીથી ગુજરાતના દ્વારકાથી શરૂ કરી હતી.

No comments:

Post a Comment