Monday, October 11, 2010

રાજકોટમાં આગેવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી

રાજકોટમાં આગેવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી

મતદાન દિવસે આજે સવારથી રાજકોટમાં કોઇ મોટો ડખ્ખો થયો ન હતો. પરંતુ રાજકોટના તમામ ૨૩ વોર્ડમાં ઉમેદવારો વચ્ચે રકઝક થઇ હતી. વોર્ડ ૧૦, વોર્ડ નં. ૪માં અને વોર્ડ નં. ૧માં ઉમેદવારો આમનેસામને આવી ગયા હતા. જ્યારે અન્ય આગેવાનો વચ્ચે તુ... તુ... મેં.... મેં.... સર્જાઇ હતી. વોર્ડ નં. ૧૦માં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભાજપના ઉમેદવારો પુષ્કર પટેલ વચ્ચે રકઝક થઇ હતી. ભટ્ટીએ કોંગ્રેસનો ખેસ ઉતારવા બાબતે બોલાચાલી થઇ હતી. જ્યારે વોર્ડ નં. ૪માં નીતિન નથવાણી અને જનક કોટક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વોર્ડ નં. ૧માં પણ વિજય ચૌહાણ અને બાબુ આહીર વચ્ચે ગાળાગાળીના દ્રશ્યો સર્જાયા હતા. આમ અમુક વિસ્તારોમાં સામાન્ય ડખ્ખા થયા હતા.


વિસાવદરના ટ્રક ડ્રાઇવરે ૧૪,૯૬ લાખનું લસણ બારોબાર વેચી નાખ્યું

વિસાવદરના વેપારીએ ટ્રાન્સપોર્ટમાં ઓસમાણગૂજ માટે માલ રવાના કર્યો હતો.
વિસાદરના વેપારીએ ટ્રાન્સપોર્ટ મારફત ઓસમાણગંજના વેપારી માટે ૧૭,૦૦૦ હજાર કિલો લસણનો જથ્થો રવાના કર્યો હતો. નિયત સમયે મલ નહીં પહોંચતા કરેલી તપાસમાં ટ્રકના ડ્રાઇવરે લાખો રૂપિયાનું લસણ બારોબાર વેચી નાખ્યાની જાણ થતા ફરિયાદ નોંધાવી છે.વેપારી કિશોરભાઇ મનસુખભાઇ નથવાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે કાસરા ગામેથી તેરૈયા ટ્રાન્સપોર્ટ મારફત ઓસમાણગંજ માટે ૧૭,૦૦૦ કિલો લસણ જીજે ૩ એટી ૯પ૭ નંબરના ટ્રકમાં રવાના કર્યું હતું.


ભાવનગર : આકાશમાં વાદળો ગોરંભાવાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા

હાથિયા નક્ષત્રના શરૂઆતના બે-ત્રણ દિવસ પ્રભાવ દેખાડ્યા બાદ આજે રવિવારે નક્ષત્રના અંતિમ દિવસે આકાશમાં એકા-એક વાદળો ઘેરાતા ખેડુત વર્ગમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. હાથમાં આવેલા કૃષિપાકને બચાવવા ખેડૂત વર્ગમાં દોડધામ શરૂ થઈ છે. જોકે, મોડીરાત્રિ એવી ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે.ભાવનગર શહેર અને જિલ્લાભરમાં સવારથી આકાશમાં વાદળો ઘેરાયા હતા, તો અમુક છુટા-છવાયા વિસ્તારોમાં છાંટણા થયા છે. વાતાવરણમાં એકા-એક બદલાવ આવવાથી મગફળીના પાકને બચાવવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. હાલમાં મગફળીનો પાક લેવાની સિઝન ચાલી રહી છે.આ ઉપરાંત કઠોળ પાકમાં અડદ લેવાઈ ગયા છે. જ્યારે થોડા દિવસ મોડા પાકતા મગ, મઠ જેવા કઠોળ પાક હજુ ખેતરોમાં પડ્યા છે. જોકે, બાજરા, બાજરીનો પાક ખેડૂતોએ ઘરભેગો કરી દીધો છે. તેમજ કપાસના પાકને નુકશાની જવાની ભીતિ બિલકુલ નથી. જેથી ખેડૂતોમાં થોડી રાહતની લાગણી છે.


ભાવનગર : ૪૫.૩૯ ટકા મતદાનને કારણે કમળ અને પંજો અવઢવમાં

ભાવનગર મહાનગરપાલિકાની ૧૭ વોર્ડની ૫૧ બેઠકો માટે આજે મતદાન જડબેસલાક વ્યવસ્થા વચ્ચે રવિવારે સવારે ૮ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો અને શાંત અને નિષ્પક્ષ રીતે મતદારો મતદાન કરી જાગૃત મતદાર તરીકેનો ધર્મ નિભાવ્યો હતો. આ વખતે ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ૧૮૦ ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં હવે કેદ થઈ ગયા છે. હવે તા.૧૨ ઓક્ટોબરને મંગળવારે તેમના ભાવિ ખુલશે.શહેરમાં ૧,૯૨,૩૭૫ પુરૂષ મતદાર અને ૧,૭૮,૬૬૦ મહિલા મતદાર મળી કુલ ૩,૭૧,૦૩૫ મતદારો હતાં તે પૈકી ૪૫.૩૯ ટકા મતદારોએ મતદાન કર્યું હોવાનો પ્રાથમિક અંદાજ મળ્યો છે.

કચ્છના કુળદેવીનું ધામ દર્શનાર્થીઓની ભીડથી ટૂંકું પડ્યું

માતાના મઢના માર્ગે અઢીથી ત્રણ કિ.મી. લાંબી વાહનોની કતાર : છેલ્લા એક સપ્તાહમાં પોણા બે લાખ લોકોએ દર્શન કર્યા.
જેમ જેમ નવલી નવરાત્રિના દિવસો પસાર થઇ રહ્યા છે તેમ-તેમ મા આશાપુરા માતાજીના સ્થાનકે ભાવિકોનો સતત વધારો થઇ રહ્યો છે. બીજીતરફ આજે રવિવારની રજા હોઇ અહીં આવનારા યાત્રિકોમાં વધારો થતાં કચ્છના કુળદેવીનું આ ધામ પણ ટૂંકુ પડ્યું હતું.છેલ્લા એક સપ્તાહમાં પોણા બે લાખ લોકોએ દર્શન કર્યાનો અંદાજ છે. આજે રવિવારે માતાના મઢના હાઇવે પર ઠેક ઠેકાણે ટ્રાફિકજામ જેવા દ્રશ્યો નજરે પડતાં હતાં, તો વાહનોની પણ અઢી-ત્રણ કિ.મી. સુધી લાંબી કતારો થઇ હતી.અમારા પ્રતિનિધિ ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે નવરાત્રિ પર્વ શરૂ થતાં પૂર્વે જ છેલ્લા આઠેક દિવસથી દેખાયેલા યાત્રિકોનો અભૂતપૂર્વ ધસારો આજે ચોથા દિવસે પણ અવિરત રહ્યો હતો, તો ચાલુ વર્ષે અહીં આવતા દર્શનાર્થી ભાવિકો માટે માતાજીના દર્શન કરવા માટે બન્ને પ્રવેશદ્વારમાંથી પ્રવેશ અપાયો હોવાથી ભક્તોમાં ખુશી દેખાતી હતી.


કચ્છમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી પાછળ ખર્ચાશે ૧પ કરોડ

કચ્છમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પ્રચાર માટે ઉમેદવારો પાણીની જેમ પૈસો વહેવડાવશે. પંચાયતોમાં ૫૫૦ અને સુધરાઇમાં ૩૮૬ મળીને ૯૩૬ ઉમેદવારો મેદાનમાં છે.ચૂંટણી એ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે. લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારોને ચૂંટે છે, પરંતુ આ પર્વ સૌથી ખર્ચાળ છે. જરૂર પ્રક્રિયાઓ માટે જે ખર્ચ થાય છે તેના કરતાં વ્યક્તિગત-રાજકીય પ્રચાર-પ્રસાર અને મતદાતાઓને રિઝવવા કે, ખરીદવા માટે ઉમેદવારો પાણીની જેમ પૈસો વહેવડાવશે.
રાજકીય વર્તુળોએ કહ્યું કે, કચ્છમાં હવે ધીમે-ધીમે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. અત્યારે ગામડે ગામડે અને દેરક વોર્ડમાં ચૂંટણી સભાઓનું આયોજન થઇ રહ્યું છે તેમાં લોકોને આકર્ષવા માટે ગાંઠિયા કે, ભજિયા વગેરે નાસ્તા પાછળ મીટિંગ દીઠ બેથી ત્રણ હજારનો ખર્ચ થાય છે જે આંકડો બેથી અઢી કરોડ સુધી પહોંચશે.


ગાંધીધામ વોર્ડ નં. ૩ના ઉમેદવારો માટે કપરાં ચઢાણ

ગાંધીધામ સુધરાઇની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણના મતદારો માળખાગત સુવિધાના મુદ્દે એટલા ત્રસ્ત થઇ ગયા છે કે આગામી ચૂંટણીમાં તેના પડઘા જરૂર પડશે અને તેને કારણે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઇ ઉમેદવાર તમામને મતદારો પાસે મત માંગવા જવા સમયે કેટલાક સવાલોના જવાબ આપવાની પણ તૈયારી રાખવી પડશે. ૪-બી વિસ્તારથી શરૂ થતો આ વોર્ડ ગાંધીધામના ૯-બી વિસ્તારની બે લાઇનોની આવરી લે છે. તેમાંથી વચ્ચે ભાગમાં આદિપુરમાં આવી જતો વિસ્તાર ભૂકંપ પછી વિકસ્યો હોવાથી ત્યાં હજુ સમસ્યાઓ વકરી નથી પણ ૪-બી અને ગાંધીધામમાં આવતા વિસ્તારમાં હાલત અત્યંત નાજુક છે. નાગરિકોના ટોળાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.


મહાનગરોના ઓછા મતદાનથી જિલ્લાના નેતાઓ ચિંતિત

રાજ્યના છ મહાનગર પાલિકાઓમાં રવિવારે થયેલા મતદાનમાં અડધાથી વધુ મતદારો મતદાનથી અળગા રહેતાં રાજકીય નેતાઓ ચિંતિત બન્યા છે. જ્યારે આગામી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કેવો પ્રતિભાવ આપશે એને લઇને રાજકીય આગેવાનો દ્વિધામાં મુકાયા છે.અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર તથા જામનગર સહિત છ મહાનગર પાલિકાના મતદાનમાં સરેરાશ ૪૦થી ૪૭ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેને પગલે આગામી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ ચિંતિત બન્યા છે. શહેરી વિસ્તારના મતદારો જો નિરસતા દાખવી રહ્યા હોય તો પંચાયત માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો કેવું વલણ રાખશે એને લઇને જિલ્લાના નેતાઓમાં ચિંતા પ્રસરી છે.


આણંદ તાલુકા પંચાયતમાં ત્રિપાંખિયો જંગ!

આણંદ તાલુકા પંચાયતમાં વર્ષ ૨૦૧૦ની સામાન્ય ચૂંટણી ભારે રસાકસીભરી બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે, સારસા વિધાનસભા એનસીપીએ હસ્તક કરી છે અને તાલુકા પંચાયતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સારસા પંથકના જ હોવાથી ત્રણેય પક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસની બહુમતી સાથે શાસનધુરા સંભાળવા મળી હતી. એથી આ વખતે શાસન ટકાવી રાખવાનો પડકાર તૈનાત છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ સૌથી વધુ રાજકીય ગરમાવો આણંદ તાલુકા પંચાયતમાં જોવા મળી રહ્યો છે. નવા સીમાંકન મુજબ ૨૯ બેઠક પર કુલ ૨,૦૩,૩૬૫ મતદારો નોંધાયા છે.


ભારતને વિશ્વગુરુ બનાવવા યુવાનો સક્રિય બને

‘‘૨૧મી સદી ભારત અને ચીન વચ્ચે સ્પર્ધાની છે, ત્યારે યુવાનોએ સક્રિય બનીને એકવીસમી સદીને ભારતની સદી બનાવવાની છે’’ એમ જણાવતાં બેંગ્લોર સાઉથના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અનંત કુમારે ભારતને વિશ્વગુરુ બનાવવા યુવાનોને હાકલ કરી હતી.કરમસદ સરદાર પટેલ મેમોરિયલ ખાતે અર્ચના ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત ધ્વનિ શર્મા લિખિત પુસ્તક ‘અ પ્રેયર ઓફ લાઈફ’ના વિમોચન પ્રસંગે સાંસદસભ્ય અનંતકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ‘૧૯મી સદી ગુલામશાહી અને બ્રિટનની અને વીસમી સદી અમેરિકા, રશિયા તથા સોવિયટ વચ્ચે ઠંડા યુદ્ધની હતી. હવે એકવીસમી સદીને ભારતની સદી બનાવવાની છે.


મલાડમાં માતા-પત્નીની ચટણી વાટવાના પથ્થર વડે હત્યા કરી

મલાડ (પશ્ચિમ) સ્થિત મુતુમારી નગર વિસ્તારમાં અર્જુન રામસ્વામી હરીજન નામના શખ્સે ઘરમાં કંકાસને કારણે તેની પત્ની અને માતાની ચટણી વાટવાના પથ્થર વડે માથું ફોડીને હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. બાંગુરનગર પોલીસે બેવડી હત્યાના કેસમાં અર્જુનની ધરપકડ કરી હતી.બાંગુરનગર પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી એમ. જી. તેલંગે દિવ્ય ભાસ્કરને માહિતી આપતાં જણાવ્યું હતું કે વ્યવસાયે ઈલેક્ટ્રિશિયન એવા અર્જુને રાસુની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં અને રાસુનાં પણ બીજાં લગ્ન હતાં. રાસુને તેના પહેલા પતિ થકી બે દીકરીઓ હતી. અર્જુન દ્વારા સંતાન પ્રાપ્તિને અભાવે ન થતાં હોવાને કારણે તેનો છેલ્લા વીસેક દિવસથી તેને પત્ની રાસુ સાથે રોજેરોજ આ બાબતે ઝઘડો થતો હતો.રાસુએ અર્જુનની માતા કુંજમ્મા રામાસ્વામી હરજિનને આ અંગે જાણ કરી હતી, એટલે ગામમાં રહેતી કુંજમ્મા પોતાના દીકરા અર્જુનને સમજાવવા માટે અહીં આવી હતી. પોતાની મા પણ પરાયાને સાથ આપી રહી હોવાનું જાણી અર્જુનને ગુસ્સો આવ્યો હતો અને તેણે શુક્રવારે મોડી રાતે માતા અને પત્ની સૂઈ ગયા હતા ત્યારે તેના માથામાં ચટણી વાટવાના પથ્થર ઝીંકીને તેમના માથાં ફોડી નાખીને બંનેની નિર્દયતાથી હત્યા કરી હતી, એમ તેલંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું.


અન્ન વિતરણ યોજનાનું કોમ્પ્યૂટરાઈઝેશન કરાશે

રાજ્ય સરકારે સાર્વજિનક વિતરણ પ્રણાલી અંતર્ગત અનાજ-કઠોળ વિતરણ વ્યવસ્થાનું બાયોમેટ્રિક પદ્ધતિએ કોમ્પ્યુટરાઈઝેશન કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકારની યુનિક આઈડેન્ટિટી કાર્ડ (યુઆઈડી) યોજનાની સાથે જ પાર પાડવાનો નિર્ણય અન્ન તથા નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન અનિલ દેશમુખે લીધો છે.આ યોજના અનુસાર લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝડ રેશનકાર્ડ આપીને કુટુંબના મોભીની તસવીર તથા કુટુંબના તમામ સભ્યોની આંગળીઓની છાપ, ઉંમર, જાતિ (સ્ત્રી-પુરુષ) વગેરેની વિગતોનો સમાવેશ કરાશે. તેથી કુટુંબના વડા સિવાયના સભ્યો પણ રેશનકાર્ડ પર અનાજ મેળવી શકશે.બાયોમેટ્રિક પદ્ધતિએ કરવામાં આવનાર હોવાથી અનધિકૃત વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકે નહીં. આ યોજનાના ભાગરૂપે ગામની વાજબી ભાવની (રેશનિંગ) દુકાનો તહેસીલ કાર્યાલય સાથે જોડવામાં આવશે તેમ જ તહેસીલ (તાલુકા) કાર્યાલયને કલેક્ટર કાર્યાલય અને મંત્રાલય સાથે જોડવામાં આવશે. આ ચેનલ દ્વારા અનાજના ઉપાડ, વેચાણ, વિતરણ, બાકી બચેલા જથ્થાની વિગતો તમામ સ્તરે સહેલાઈથી ઉપલબ્ધ થનાર હોવાથી કાળાં બજાર અને ગેરરીતિઓ રોકી શકાશે.


ગુગલની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ કાર

ઈન્ટરનેટ જાયન્ટ ગુગલ દ્વારા ગુપ્તપણે દ્વારા કાર વિકસાવવામાં આવી રહી છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત છે. આવી સાત કારો તૈયાર કરવામાં આવી છે.ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, ગુગલ દ્વારા સાત કારો પર પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે. દરેક કાર સતત એક હજાર માઈલથી વધુનો પ્રવાસ સ્વતંત્ર રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ખેડી ચૂકી છે. જ્યારે આશિક માનવીય સહાયતાની મદદથી આ કારો એક લાખ ચાલીસ હજાર માઈલનો પ્રવાસ ખેડી ચૂકી છે.


“સચિન મારા બાળપણનો હિરો છે”

હાલમાં ટીમ ઈન્ડિયામાં મોટા ભાગના યુવા ક્રિકેટરો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે રમવાનું સપનું જોતા જોતા મોટા થયા છે. આ તમામ યુવા ક્રિકેટરો સચિન સાથે રમવાની વાતને પોતાનું સપનું પૂરુ થયું તેવું કહે છે.જ્યારે ગઈ કાલે સચિન તેંડુલકરે પોતાની ટેસ્ટ કારકિર્દીના 14000 રન પૂરા કર્યા ત્યારે વિશ્વભરમાં તેની આ સિદ્ધિની પ્રશંસા કરવામાં આવી હતી. સચિનની આ સિદ્ધિ સમયે મુરલી વિજય તેની સાથે મેદાનમાં હતો.વિજયે કહ્યું હતું કે હાલમાં હું મારું સપનુ જીવી રહ્યો છું. સચિન મારા બાળપણનો હિરો હતો અને હાલમાં તેની સાથે બેટિંગ કરવા બદલ હું મારી જાતને ખુશનસીબ માનું છું. આ મારા માટે અકલ્પનિય છે. હું તેનો આનંદ માંણી રહ્યો છું. મારા માટે આ અલગ પ્રકારની લાગણી છે.


કોમનવેલ્થ ગેમ્સે ક્રિકેટને પણ હરાવ્યું

ભારત માટે એક સમયે મોડો પડકાર ગણાતી અને હવે દુનીયાભરમાં જેના આયોજનથી ભારતનો ડંગો વાગી રહ્યો છે તેવી દિલ્હીમાં યોજાઇ રહેલી ૧૯મી કોમન વેલ્થ ગેમ્સએ લોકોને એવું તો ઘેલું લગાડ્યું છે કે ભારતીયોની સૌથી પ્રિય એવી ક્રિકેટને બદલે લોકો કોમન વેલ્થ ગેમ જોતા નજરે પડ્યા હતા.

No comments:

Post a Comment