Monday, October 4, 2010

દિલ્હીએ ગગન ગજવી નાખ્યું

દિલ્હીએ ગગન ગજવી નાખ્યું

ઉદ્ઘાટન સમારંભમાં વિશ્વએ ભારતની તાકાત નિહાળી, શાનદાર અને ભવ્ય ઉદ્ઘાટન સમારંભથી ટીકાકારોની બોલતી બંધ.રવિવાર સાંજ ને સાડા આઠ વાગ્યાનો સમય, સ્થળ જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ અને પ્રસંગ કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ. અચાનક સ્ટેડિયમમાં ઉપસ્થિત લગભગ ૬૦,૦૦૦ દર્શકોના હર્ષોલ્લાસથી આસમાન ગુંજી ઊઠ્યું.આમ તો આ ગુંજ હતી ઉપસ્થિત જનસમુદાયે સ્ટેડિયમમાં પ્રવેશ કરી રહેલા ભારતીય ખેલાડીઓના સ્વાગતની, પણ અહીં ઉપસ્થિત ૭૧ દેશોના ખેલાડીઓ અને અધિકારીઓને એ બતાવી દીધું હતું કે દિલ્હીએ આ રમતોત્સવનું ભવ્યાતભિવ્ય અને શાનદાર આયોજન કરીને ટીકાકારોના મોંએ તાળાં મારી દીધાં છે. પ્રેક્ષકોએ થોડી ક્ષણો બાદ ફરીથી ઇન્ડિયા-ઇન્ડિયાના નારા લગાવ્યા હતા. આ સમયે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટિશ મહારાણીનો સંદેશ વાંચી રહ્યા હતા.ગેમ્સની પરંપરા તૂટી, આપણા રાષ્ટ્રપતિએ શુભારંભ કરાવ્યો, દિલ્હીમાં રવિવારે સાંજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષો જુની પરંપરા તૂટી હતી. અત્યાર સુધી આ ગેમ્સની શરૂઆત બ્રિટિશ મહારાણી કરાવતાં હતાં, પણ દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત આપણા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કરાવી હતી. આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી મસલત ચાલતી હતી. પ્રતિભા પાટિલે હાથ ઉઠાવીને કહ્યું હતું કે ‘ કોમનવેલ્થ ગેમ ઇઝ બિગન’. શીલા દીક્ષિત અને કલમાડીને સૌથી વધુ તાળીઓ, નહેરુ સ્ટેડિયમમાં સૌથી વધુ તાળીઓ દિલ્હીના મુખ્યમંત્રી દીક્ષિત અને આયોજન સમિતિના પ્રમુખ સુરેશ કલમાડીના ભાગે આવી હતી. જ્યારે પણ આ બન્નેના નામ લેવામાં આવતાં હતાં ત્યારે મોટા સ્ક્રીન પર નજરે પડતાં પ્રેક્ષકો પૂરા જોશથી તાળીઓ પાડતાં હતાં.


CWG: બોપન્નાની વિજયી શરૂઆત

રવિવારના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં સમગ્ર વિશ્વને આંજી નાખતા ભારતે કોમનવેલ્થ ગેમ્સની શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે આજે કોમનવેલ્થન ગેમ્સની સ્પર્ધાઓમાં પ્રથમ દિવસે જ ભારત માટે સારા સમાચાર છે. ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ મેન સિંગલમાં વિજયી શરૂઆત કરી છે. બોપન્નાએ યુગાન્ડાના બુયિંજા રોબર્ટને પ્રથમ રાઉન્ડની મેચમાં 6-1,6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.હવે પછી બોપન્નના આજે તેના બીજા મુકાબલામાં નિરૂપમા સંજીવ સાથે મળીને મિક્સમાં ઓસ્ટ્રેલિયાની ટોચની જોડી પૌલ હેન્લી અને રોડિઓનોવા અનાસ્ટેસિઆ સામે રમશે.


ગેમ્સમાં નાનું કામ, મોટું પેમેન્ટ

ગેમ્સ સાથે સંકળાયેલાં લોકોને ૩૦ હજારથી એક લાખ રૂપિયા સુધીનું વળતર, પ્રોફેશનલ્સની ફોજ, પ્રગતિ મેદાનના ૧૧ નંબરના ગેટથી પ્રવેશીને મેઇન પ્રેસ સેન્ટર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં જે વ્યવસ્થા જોવા મળી તેનાથી પ્રભાવિત થઈ જવાય અને વિશ્વાસમાં ના આવે કે અહીં કોઈ અવ્યવસ્થા જેવો શબ્દ પણ હોઈ શકે.સમગ્ર ડોમમાં સંખ્યાબંધ એલસીડી, સારી કંપનીનાં કમ્પ્યુટર, ઠંડક પ્રસરાવી દેતાં એસી અને તમારી મદદ માટે સંખ્યાબંધ કર્મચારીઓ તૈનાત હોય.મને લાગ્યું કે આ વોલિન્ટયર્સ સેવા કરતા હશે જે તેમને ભવિષ્યમાં કામ લાગે પરંતુ તેમને મળતા પેમેન્ટનો આંક સાંભળીને આંચકો લાગ્યો. તેમને પગાર મળે છે એ તો બરાબર પણ કોઈ કર્મચારી એવો નથી જેને મહિનાના ૩૦ હજારથી ઓછો પગાર મળતો હોય.આયોજન સમિતિએ માત્ર એમપીસી માટે જ છ વિદેશી કન્સલ્ટન્ટ રાખ્યા છે. ડેરિક ફિલિપ્સ અને પીટર ચાર્લ્સ સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી આવેલા પ્રોફેશનલ્સ અગાઉ ઓલિમ્પિક્સ અને એશિયાડમાં ફરજ બજાવી ચૂક્યા છે અને તેમને દર મહિને છ લાખથી શરૂ કરીને દસ લાખ રૂપિયા સુધીનું વેતન મળે છે.ડોમમાં ચાર પ્રેસ મેનેજર છે અને દરેકનો માસિક પગાર એક લાખ રૂપિયા છે. તેમનું કામ એ જ છે કે કોઈ ગરબડ વિના તમામ કામગીરી બરાબર ચાલતી રહે. કોમનવેલ્થ ગેમ્સમાં ૭૦ હજારથી વધારે વેતન મળતું હોય તેવા આઠ અને ૪૦ હજારથી વધારે વેતન મળતું હોય તેવા ૮૦ કર્મચારીઓ છે.


પાકિસ્તાનની ખેલાડીઓની કોમનવેલ્થના બહિષ્કારની ધમકી

3 ઓક્ટોબર રવિવારના રોજ દિલ્હી ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં રાષ્ટ્રધ્વજને પકડીને અને ટીમનું નેતૃત્વ કરવાના મામલે પાકિસ્તાનના ખેલાડીઓમાં અંદરો અંદર તકરાર થતા પાકિસ્તાનની વેઈટલિફ્ટિંગ ટીમે કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાની ધમકી ઉચ્ચારી દીધી છે.વેઈટલિફ્ટિંગ ટીમના કોચ શેખ રાશિદે નવી દિલ્હીથી પાકિસ્તાની અખબારને જણાવ્યું હતું કે જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા શુજાઉદ્દીન મલિક દ્વારા રાષ્ટ્રધ્વજને ઉંચકીને રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવાનું હતું.પરંતુ અંત સમયે પાકિસ્તાની દળના વડા મુહમ્મદ અલિ શાહે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રધ્વજ ઉંચકીને નેતૃત્વ કરશે.આ ઘટનાથી વેઈટલિફ્ટિંગ ટીમને પોતાનું અપમાન થતું લાગ્યું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે શુઝાઉદ્દીન જ રાષ્ટ્રીય ધ્વજ ઉંચકીને ટીમનું નેતૃત્વ કરશે. આના કારણે શાહ અને વેઈટલિફ્ટરો વચ્ચે શાબ્દિક યુદ્ધ થઈ ગયું હતું.બાદમાં શાહે પણ વેઈટલિફ્ટિરોની વાતને નકારી કાઢતા કહ્યું હતું કે તે જાતે જ રાષ્ટ્રીય ધ્વજ સાથે પાકિસ્તાનનું નેતૃત્વ કરશે, તેમ રાશિદે પાકિસ્તાની અખબારને જણાવ્યું હતું.રાશિદે વધારેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓએ બાદમાં ફક્ત પોતાના દેશની ઈજ્જત અને સન્માન ખાતર જ ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લીધો હતો.


ઈશાંત ત્રાટક્યો, વોટસન-પોન્ટિંગ-ક્લાર્ક આઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલી ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈશાંત શર્માએ તરખાટ મચાવીને ભારતને ત્રણ મહત્વની સફળતા અપાવી છે. ઈશાંતે, વોટસન, પોન્ટિંગ અને ક્લાર્કની વિકેટ ઝડપી છે.ઈશાંત શર્માએ વોટસનને બોલ્ડ કરીને ચોથા દિવસે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. વોટસને 59 બોલમાં 56 રન બનાવ્યા હતા. વોટસન બાદ બેટિંગમાં આવેલો સુકાની રિકી પોન્ટિંગ પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. પોન્ટિંગ પણ 4 રન બનાવી ઈશાંતનો શિકાર બન્યો હતો. ક્લાર્ક પણ ચાર રને ઈશાંતનો શિકાર બન્યો હતો. કેટીચ અને હસ્સી મેદાનમાં છે, ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 100ના સ્કોરને પાર કરી લીધો છે.આ પહેલા પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઓપનર શેન વોટસન અને સિમોન કેટિચે ઓસ્ટ્રેલિયન ટીમને બીજા દાવમાં મજબૂત શરૂઆત અપાવી હતી. વોટસને 53 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્રીજા દિવસે ભારતે મેચ પર પ્રભુત્વ જમાવવાની તક જતી કરી હતી. ત્રીજા દિવસે ભારતીય ટીમ 405 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. હવે સઘળો મદાર ભારતીય બોલરો પર છે.સચિન તેંડુલકર, સુરેશ રૈના અને રાહુલ દ્રવિડે શાનદાર બેટિંગ કરતાં ભારતે પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામે ૪૦૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ મિચેલ જહોન્સને પાંચ વિકેટ ખેરવીને ઓસ્ટ્રેલિયાને ૨૩ રનની સરસાઈ અપાવી હતી.એક સમયે જ્યારે સચિન અને રૈના રમતા હતા ત્યારે લાગતું હતું કે ભારત ઓસ્ટ્રેલિયાને દબાણમાં લાવી દેશે. પરંતુ જેવા સચિન 98 રને આઉટ થયો તે સાથે જ ભારતીય ટીમના ધબડકાની શરૂઆત થઈ હતી. સચિન બે રન માટે સદી ચૂકી ગયો હતો. તે સમયે ભારતનો સ્કોર 5 વિકેટ 355 રનનો હતો. પરંતુ બાદમાં સમગ્ર ભારતીય ટીમ 405 રને ઓલ-આઉટ થઈ ગઈ હતી.


પીઓકે પાકિસ્તાનના કબજામાંથી મુક્ત થશે!

પાક અધિકૃત કાશ્મીરમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અમાનઉલ્લા ખાનના નેતૃત્વ વાળા જૂથે ‘કાશ્મીર છોડો’ આંદોલન શરૂ કરી દીધું છે, જે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી જૂથ હુર્રિયત કોન્ફરન્સ દ્વારા ભારત વિરુદ્ધ છેડવામાં આવેલા આંદોલન જેવું જ છે.
ખાનના આંદોલનનું લક્ષ્ય એલઓસીથી વિભાજિત જમ્મુ-કાશ્મીરને એકીકૃત કરી સંપૂર્ણ રીતે સ્વતંત્ર કરાવવાનું છે. જેકેએલએફની કેન્દ્રીય સમિતિની રાવલપિંડીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ચેરમેન સરદાર સગીર અહેમદ ખાનની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ‘કાશ્મીર છોડો’ આંદોલનને પીઓકે અને ઉત્તરી ક્ષેત્રમાં વધારવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. જેકેએલએફના પ્રચાર પ્રમુખે જણાવ્યું છે કે આ અંતર્ગત 22થી 27 ઓક્ટોબર વચ્ચે એલઓસી પાસે વિવિધ જગ્યાએ ધરણા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.


ભારત 3 વર્ષમાં ચીનને પછાડી દેશે!

ભારતીય અર્થવ્યવસ્થામાં ઉતરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. આગળ પણ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા ત્રણ વર્ષોમાં ગ્રોથ રેટની બાબતમાં ભારત, ચીન કરતા આગળ હશે.આનું સૌથી મોટુ કારણ છે ભારતમાં યુવા કાર્યકારી જનસંખ્યામાં ઝડપથી થઈ રહેલી વૃદ્ધિ. આંકડાઓ પ્રમાણે 2013 સુધી જ્યાં ચીનમાં કાર્યકારી (વર્કિંગ) પૉપ્યૂલેશન એટલે કાર્યકારી સંખ્યામાં 2.30 કરોડની વૃદ્ધિ હશે, ત્યાજ ભારતની કાર્યકારી જનસંખ્યા 3.60 કરોડ હશે.સ્પષ્ટ છે કે કાર્યકારી પૉપ્યુલેશનમાં વૃદ્ધિ સાથે ભારતનો આર્થિક વિકાસ દર પણ ઝડપથી આગળ વધશે. અત્યારે ભારતનો ગ્રોથ રેટ (જીડીપી) 8થી 8.50 ટકાની વચ્ચે રહેવાની આશા વ્યક્ત કરવામાં આવે છે.તેની સરખામણીએ ચીનની ગ્રોથ રેટ 9.50 થી 10 ટકાના સ્તરને પાર કરી શકે છે. પંરતુ જાણકારોનું માનવુ છે કે 2013 જીડીપી ગ્રોથ રેટની બાબતમાં ભારત 10 ટકાની સપાટીને પાર કરી જશે. ત્યાજ કાર્યકારી જનસંખ્યામાં ઘટાડાના કારણે ચીનનો ગ્રોથ રેટ 9 ટકાથી નીચે જવાની શક્યતાઓ વધી જશે.


અયોધ્યા: સુલેહથી મંદિર-મસ્જિદ વિવાદના હલની પહેલ

30 સપ્ટેમ્બરે અયોધ્યા વિવાદ પર આવેલા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ ફરી એકવાર કોર્ટ બહાર વિવાદને ઉકેલવાનો પ્રયાસ ઝડપી બન્યો છે. અયોધ્યા ટાઈટલ સૂટના મામલામાં સૌથી જૂના પક્ષકાર હાશિમ અંસારીએ હનુમાન ગઢીના મહંત જ્ઞાનદાસ સાથે મુલાકાત કરીને કોર્ટ બહાર નિપટારાની સંભાવનાઓ શોધવાનો પ્રયત્ન કર્યો છે. જો કે તેમની પહેલ કોઈ રંગ લાવે, તે એટલું આસાન દેખાતું નથી, કારણ કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એલાન કર્યું છે કે તેઓ આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં નવા પક્ષકાર બનશે.બીજી તરફ પ્રયાગ પીઠના શંકરાચાર્ય ઓંકારાનંદ સરસ્વતી મહારાજે મુસ્લિમ સમુદાયને જયપુરના કરબલા મેદાન પર સંબોધિક કર્યો અને બંને સમુદાય વચ્ચે સામંજસ્યની અપીલ કરી છે. તેમણે એ પણ કહ્યું છે કે જો મુસ્લિમ સમુદાય આ ચુકાદા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં જશે, તો તેઓ તેમનું સમર્થન કરશે, પરંતુ જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવે, તો તમામને માન્ય હોવો જોઈએ.સુન્ની વક્ફ બોર્ડ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર વિચાર કરવા માટે આગામી સપ્તાહે બેઠક બોલાવી રહ્યું છે. એ નક્કી છે કે વક્ફ બોર્ડ અને હિંદુ મહાસભા બંને સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ સાથે કોર્ટ બહાર મામલાને ઉકેલવાના પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. વક્ફ બોર્ડ સિવાય 90 વર્ષના હાશિમ અંસારી પણ આ મામલામાં વાદી છે. તેમણે હનુમાન ગઢીના મહંત જ્ઞાનદાસ સાથે મુલાકાત કરી છે. મહંત જ્ઞાનદાસ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ છે. જો કે તેઓ આ મામલા સાથે સીધા જોડાયેલા નથી, પરંતુ તેમને અયોધ્યામાં ઘણો પ્રભાવ છે. અંસારીએ કહ્યું છે કે તેઓ વક્ફ બોર્ડની થનારી બેઠકમાં ચર્ચાનું વિવરણ આપશે, કે જેથી બંને પક્ષો હળીમળીને મામલાનો હલ કાઢવાનો પ્રયાસ કરે.આ વચ્ચે જયપુરમાં કરબલા મેદાન પર પ્રયાગ પીઠના શંકરાચાર્ય ઓંકારાનંદ સરસ્વતી મહારાજે જમાત-એ-ઈસ્લામી હિંદની બેઠકને સંબોધિત કરી હતી. પોતાના અડધા કલાકના વક્તવ્યમાં તેમણે અયોધ્યા, હિંદુ મુસ્લિમ એકતા અને ગાંધીજીના સિદ્ધાંતો પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો મુસ્લિમ સમુદાય હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં જાય છે, તો તેઓ તેનું સંપૂર્ણ સમર્થન કરશે. પરંતુ ત્યાર બાદ સુપ્રિમ કોર્ટનો જે પણ ચુકાદો આવે, તે સૌને માન્ય હોવો જોઈએ.


અમદાવાદ : મોદીએ નેતાઓને તતડાવી નાખ્યા

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનની ચૂંટણી આ વખતે ભાજપ-કોંગ્રેસ માટે માથાના દુખાવાસમાન છે અને વિરોધનો શૂર હજુ શમ્યો પણ નથી. કાર્યકરોમાં અસંતોષના લીધે શનિવારે બાપુનગરમાં યોજાયેલી જાહેરસભામાં પાંખી હાજરી જોઈ મુખ્યમંત્રીએ નેતાઓને તતડાવ્યા હતા.આથી રવિવાર જાહેરસભામાં વાહનો દ્વારા લોકોને લાવી ભીડ એકઠી કરવાની સૂચના આપી દેવાઇ હતી. બીજી તરફ ધારાસભ્ય સાથેની અંગત અદાવતથી સરદારનગરના ભાજપના કોર્પોરેટર અશોક હાસાણીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપમાં ટિકિટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર અને સગાવાદ ચલાવાતાં હજુ પણ કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. બાપુનગરમાં શનિવારે યોજાયેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભાનો ફિયાસ્કો થતાં ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.સભામાં લોકોની પાંખી હાજરી જોઇને મોદીએ જવાબદાર નેતાઓને ખખડાવી નાખ્યા હતા. આથી રવિવારે અમદાવાદમાં યોજાયેલી મુખ્યમંત્રીની બે જાહેરસભામાં ભીડ ભેગી કરવા માટે વાહનો દ્વારા લોકોને લાવવાની ફરજ પડી હતી.શહેરમાં ૧૮થી વધુ વોર્ડ એવા છે જે ભાજપ માટે માથાના દુખાવાસમાન છે. સ્થાનિક કાર્યકરોના ભારે રોષના કારણે ઉમેદવારોને પ્રચારકાર્યમાં મોટી મુશ્કેલી પડી રહી છે. ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુર જેવા વોર્ડમાં તો ઠેરઠેર લોકોએ બેનર મૂકી ઉમેદવારોને પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. ચૂંટણીમાં આટલો વિરોધ પ્રથમવાર જોવા મળ્યો છે.કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપીને આયાતી કાર્યકરોને ટિકિટ આપતાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ચૂંટણી પ્રચારકાર્ય શરૂ થઈ ગયું હોવા છતાં રાજીનામાનો દોર ચાલુ છે, રવિવારે ભાજપને પૂર્વ વિસ્તારમાં વધુ એક ફટકો પડ્યો છે. સરદારનગરના કોર્પોરેટર અશોક હાસાણીએ પોતાના વિસ્તારના ધારાસભ્યની અંગત અદાવત તથા કિન્નાખોરી નીતિથી કંટાળી ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાનો પત્ર શહેર ભાજપ પ્રમુખ રાકેશ શાહને મોકલી દેવાયો છે.બીજી બાજુ કોંગ્રેસમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ પક્ષના નેતાઓ અપક્ષ ઉમેદવાર ઊભા રાખી સત્તાવાર ઉમેદવારને હેરાન કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસને ૧૦થી વધુ વોર્ડમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના કેટલાક બળવાખોરો મેદાન મારી જાય તેવી શક્યતા જણાઈ રહી છે.


ખોટી સહીના આધારે એકાઉન્ટમાંથી ૫૦.૩૦ લાખની છેતરિંપડી

કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી ખોટી સહીઓ કરી ગ્રાહકોનાં ૫૦ લાખથી વધુ રૂપિયા ઉપાડી એજન્ટ દ્વારા મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. જે કંપનીના એકાઉન્ટમાંથી એજન્ટે રૂપિયાની ઉઠાતંરી કરી છે તે વલસાડની કંપની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.મૂળ વલસાડની ઘડિયા સૌલર નામની કંપનીના મેનેજીંગ ડિરેકટર બાદલભાઇ શાહે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કંપનીનાં બે અલગ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી એજન્ટ ધર્મેન્દ્ર કૌર ખોટી સહિઓ કરી ગ્રાહકો દ્વારા જમા કરાવેલા રૂપિયા ૫૦.૩૦ લાખ ઉપાડી નાસી છુટ્યો છે.પોલીસે ઉચાપતના આ કેસમાં છેતરપીંડીનો ગુનો નોંધી નાસી છુટેલા એજન્ટની ધરપકડનાં ચક્રોગતીમાન કર્યા છે.s


6 વર્ષમાં 6 ગણા ધનવાન બન્યા અંબાણી બંધુ

ભારતીય અર્થવ્યસ્થા તેજીથી આગળ વધી રહી છે અને તેની સાથે જ ધનકુબેરોની તિજોરી પણ છલોછલ ભરાઈ રહી છે.
દેશના ખ્યાતનામ બે બિઝનેસ ટાયકૂન, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની સંપત્તિ પાછલા 6 વર્ષોમાં 6 ગણી વધી છે. ભારતના 100 ધનવાનોના લિસ્ટ તૈયાર કરનારી બિઝનેસ પત્રિકા ફૉર્બ્સ પ્રમાણે આ બન્ને ભાઈઓની સંપત્તિ હવે 40 અબજ ડૉલરના આંકડાને વટાવી ગઈ છે.2004માં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની કુલ સંપત્તિ 6.4 અબજ ડૉલર હતી. તે સમયે આ બન્ને ભાઈઓ સાથે મળીને કારોબાર કરતા હતા. ત્યારબાદ તે બન્ને અલગ અલગ કારોબાર સંભાળવા લાગ્યા પરંતુ તાજા આંકડાઓ પ્રમાણે તે સ્પષ્ટ જણાવી આવે છે કે તેનાથી કારોબારમાં કોઈ પ્રતિકૂળ અસર નથી પડી. ઉપરથી તેમના અલગ થવાના કારણે આ બન્ને ભાઈઓ બમણી ઝડપે વિકાસ કરી રહ્યાં છે.હવે તેમની સંપત્તિ 40 અબજ 30 કરોડ ડૉલર છે. ફૉર્બ્સ ઇન્ડિયા પ્રમાણે ભારતમાં સૌથી ધનીક વ્યક્તિ મુકેશ અંબાણી હવે 27 અબજ ડૉલરની સંપત્તિ છે. અનિલ અંબાણી ભારતીય ધનવાનો લિસ્ટમાં 6 સ્થાને છે અને તેમની સંપત્તિ 13 અબજ 30 કરોડ ડૉલર આંકવામાં આવી છે.


આણંદ : પાંચ કલાકમાં ર૦૦ ઉપરાંત ઉમેદવારીપત્રકો ભરાશે

આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો એડીચૌટીનું જોર લગાવી રહ્યા છે.
જેથી બંને પક્ષોના ઉમેદવારો અંગેનું રહસ્ય અંતિમ ઘડી સુધી અકબંધ રહ્યું હતું. ત્યારે ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ ઘડીઓ ગણાઇ રહી હોવાથી ટિકિટવાંચ્છુઓની ધીરજ પણ ખૂટી પડી હતી.જો કે કેટલાક દાવેદારોએ ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી પણ કરી દીધી હતી. જેથી ઉમેદવારીપત્રક ભરવાના અંતિમ દિને પાંચ કલાકમાં આણંદ નગરપાલિકાની ચૂંટણી માટે ર૦૦ ઉપરાંત ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે.

No comments:

Post a Comment