તુલસી-સોહરાબ કેસ અલગ હોવાનો CID દાવો કરશે
તુલસી એન્કાઉન્ટરના હેતુ માટે ફાંફા મારતી સીઆઇડી ક્રાઇમ તુલસી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઇ પાસે જતી અટકાવવાનો પ્રયાસ કરશે! બીજી બાજુ તુલસી પ્રજાપતિની માતા નર્મદાદેવીના વકીલ ત્રણથી ચાર સપ્તાહની મુદત માગે તેવી પણ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.પ્રાપ્તવિગતો મુજબ, સીઆઇડી ક્રાઇમ એવી રજુઆત કરશે કે, તુલસીએ જુન-૨૦૦૬માં રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગને લખેલા પત્રમાં એન્કાઉન્ટરની દહેશત વ્યક્ત કરી છે, પરંતુ સોહરાબુદ્દીન સાથેની ત્રીજી વ્યક્તિ તુલસી પોતે હતો અને તે માટે તેનું એન્કાઉન્ટર કરવામાં આવે, તેવો કોઈ ઉલ્લેખ નથી.જોકે તુલસી કેસમાં તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમની અત્યાર સુધીની તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જે સોહરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર એકબીજા સાથે સંકળાયેલા હોવાનું સાબિત કરી શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.સીબીઆઇ તરફથી કેટીએસ તુલસી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એજાઝ ખાનની સામે અન્ય મોટા ગજાના વકીલોની ફોજ પણ મેદાનમાં ઊતારાશે તેવી પણ સંભાવના છે.
પરેરા અને અમ્પાયર સામે ભારત હાર્યું
મેન ઓફ ધ મેચ બનેલા ઝડપી બોલર તુષારાએ કરેલા કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તથા અમ્પાયર્સના ચાર ખોટા નિર્ણયનો ભોગ બનેલી ભારતીય ટીમને યજમાન શ્રીલંકાએ પોતાના ઘરઆંગણે રમાતી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીની લીગ મેચમાં આઠ વિકેટે શરમજનક પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.શ્રીલંકન બોલર્સનાં ઘાતક પ્રદર્શન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમ ૩૩.૪ ઓવરમાં માત્ર ૧૦૩ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં શ્રીલંકન ટીમે ૧૫.૧ ઓવરમાં બે વિકેટે ૧૦૪ રન બનાવીને વિજય મેળવી લીધો હતો.અમ્પાયર ધર્મસેનાએ સેહવાગ, કાર્તિક, રૈના અને યુવરાજને ખોટા નિર્ણયથી આઉટ કર્યા હતા. પરાજય વખતે બાકી રહેલા બોલના હિસાબે ભારતનો પોતાના વન-ડે ઈતિહાસમાં સૌથી મોટો પરાજય છે. શ્રીલંકન ટીમે બોનસ સાથે કુલ ૧૧ પોઇન્ટ મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.ભારતે હવે ફાઇનલમાં પ્રવેશવા માટે ૨૫મી ઓગસ્ટે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચને કોઇ પણ ભોગે જીતવી પડશે. આ મેચ નોકઆઉટની જેમ રહેશે અને તેમાં વિજેતા બનેલી ટીમને ફાઇનલમાં રમવા મળશે. જો આ મેચ રદ થાય તો ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પ્રવેશવાનો હક મળશે, કારણ કે તેના સાત પોઇન્ટ છે અને તે ભારત કરતાં બે પોઇન્ટ આગળ છે.બોલર્સનાં શાનદાર પ્રદર્શન બાદ આસાન લક્ષ્યાંક સામે મેદાને પડેલા શ્રીલંકન ઓપનર્સ જયવર્દને અને દિલશાને તોફાની શરૂઆત કરીને પ્રથમ વિકેટ માટે માત્ર ૯.૨ ઓવરમાં ૭૯ રન બનાવીને ટીમ માટે ફાઇનલમાં પ્રવેશવાનો પાયો નાખી દીધો હતો.
ખાનગી પ્રાથ.શાળાના બાળકો દફતરના ભાર હેઠળ કચડાયા
‘ભાર વગરનું ભણતર’ એ આજના શિક્ષણમાં સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન છે. બાળકો પર આજના ભણતરથી માનસિક ઉપરાંત શારીરિક બોજો વધે છે. તેમાં મુખ્ય છે દફતર ધો. ૧ થી ૭ના કુમળી વયના બાળકો દરરોજ ૩ થી ૬ કિલોના વજનનું દફતર લઈ સ્કૂલની આવન-જાવન કરતાં હોય છે તેની મુશ્કેલી તો આ બોજો વહન કરતાં બાળકો અને તેના વાલીઓનેજ સમજાય છે.પરંતુ ખાનગી પ્રાથમિક શાળાના સંચાલકો પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાયપોથીઓ, કંપાસ બોક્સ, નોટબુકો, રફ બુક, પાકી નોટ ઉપરાંત પાણીની બોટલ, નાસ્તાનું લંચ બોક્સ વિ.ના બોજામાંથી એકપણ બોજો મુક્ત કરવા માગતા ન હોય તેવી રીતે વર્તી રહ્યાં છે. ભાવનગરમાં અનેકવાર રજૂઆતો કરવા છતાંય સ્કૂલ સંચાલકો તેઓની વાત ઉડાડી દેતા હતા.
રાજકીય દબાણ અને CBIના ડર વચ્ચે પોલીસ ફફડે છે
અમિત જેઠવાની ભાડૂતી શાર્પ શુટર દ્વારા કરાવાયેલી હત્યાના પ્રકરણમાં સોપારી આપનાર કોન્સ્ટેબલે વટાણા વેરી નાખતા રેલો સાંસદ દિનુ બોઘા સુધી પહોંચી રહ્યો છે. આ કેસમાં પોલીસ ઉપર જબરું રાજકીય દબાણ હોવાની ચર્ચા છે. પરંતુ, બનાવટી એન્કાઉન્ટર કાંડમાં મહારથીઓ પણ જેલભેગા થઇ જતાં તપાસનીશ અધિકારીઓની સ્થિતિ સૂડી વચ્ચેની સોપારી જેવી થઇ ગઇ છે.અમિત જેઠવાની ભાડૂતી મારાઓ મારફત હત્યા કરાવી દેવામાં આવી હતી. જેઠવાના પિતાએ પુત્રની હત્યા સાંસદ દિનુ બોઘાના ઇશારે થયનો એ જ દિવસે ખૂલ્લો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે સાંસદની નજીકના મનાતા ગીર ગઢડાના કોન્સ્ટેબલ બહાદુર જેઠવાની ધરપકડ કરી હતી.બહાદુરે હત્યાની સોપારી આપી હોવાનો અને સાંસદના ભત્રીજા શિવા સોંલકીની સંડોણીનો આડકતરો એકરાર પણ કરી લીધો છે. હત્યારા શૈલેષ પંડ્યા સાથે રહેલા કુખ્યાત પચાણ શિવાએ પણ ચોંકાવનારી કબૂલાત આપી દેતા સાંસદના ભત્રીજાની ગમે ત્યારે ધરપકડ થાય તેવા સંજોગો છે. જો કે આ તપાસમાં ચોક્કસ વ્યક્તિઓને છાવરવા માટે તપાસનીશ ઉપર રાજકીય પ્રેશર થઇ રહ્યાનું કહેવાય છે.બહાદુરની ધરપકડ બાદ વેગવાન બની ગઇ છે.પરંતુ, તપાસ સીબીઆઇને સોંપવાની માંગણી થઇ રહી છે ત્યારે તપાસમાં ઇરાદા પૂર્વકની ક્ષતિ રાખવમાં આવે તો તપાસનીશને વણજારા એન્ડ કંપનીની બાજુની ખોલીમાં પડોશી થવું પડે તેવી દહેશત દેખાય છે. અને ઉપરી કે રાજકીય દબાણને વશ ન થાય તો જૂના કેસ ઉખેડે તેવો ભય સતત સતાવી રહ્યો હોવાથી ખૂન કેસની તપાસમાં જોડાયેલા તમામની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે.
* કચ્છના ગોર દાદા ગિનીસ બુકમાં ચમક્યા!
કચ્છી માટીના અણમોલ રત્નો ચાહે દુનિયાના કોઇ પણ છેડે વસતા હોય તે દરેક ક્ષેત્રે હંમેશાં આગળ જ હોય મૂળ મુન્દ્રાના ગુંદાલા ગામના રવિશંકર મહારાજે ૭૬ વર્ષની વયમાં ૧૦,૦૦૦થી પણ વધુ લગ્નવિધિઓ કરાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.રવિવારે ભુજમાં પોતાના કૌટુમ્બિક લગ્નપ્રસંગમાં આવેલા રવિશંકર મહારાજે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ મુલાકાતમાં વિગતો આપી હતી. તેઓ ૧૬ વર્ષની વયથી મુંબઇમાં જ સ્થાયી થયા છે, પણ તેમનું શૈશવ તો ગુંદાલાની ધરતીમાં જ વિત્યું છે. કચ્છની ધરતીના ઉમદા સંસ્કારોનું તેનામાં સિંચન થયું છે.તેણે લાક્ષણિક અદામાં કહ્યું કે, કર્મકાંડ એ તો અમારો બાપીકો ધંધો કહેવાય આમ તો ધી બોમ્બે ગ્રીન એસોસિયેશનમાં હેડકલાર્ક ઓફ ધ ગોડાઉન તરીકે ફરજ બજાવતા હતા છતાં સાથે-સાથે ૧૯૬૬માં સૌ પ્રથમ વખત લગ્નવિધિ કરાવવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં હાઇએસ્ટ ૧૦,૦૦૦થી વધુ લગ્નવિધી કરાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ મેળવ્યું છે!
અમદાવાદમાં મોડી સાંજે એક ઇંચ વરસાદ
શનિવારની જેમ રવિવારે પણ અમદાવાદમાં મોડી સાંજે ભારે ઝાપટાં સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ઝાપટાને કારણે શહેરમાં રોડની આજુબાજુમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં અડધા કલાક સુધી વરસાદ પડ્યો હતો. શહેરનાં અમુક વિસ્તારમાં એક ઈંચ અને કેટલીક જગ્યાએ ભારે ઝાપટા નોંધાયા હતા.અચાનક વરસાદ પડતાં રવિવારે ફરવા નીકળેલા લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. દરમિયાન હવામાનખાતાએ હળવા ઝાપટાની આગાહી કરી હતી. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડે છે. જોકે ચાલુ અઠવાડિયાના વરસાદની પેટર્ન એ રહી છે કે સાંજે અથવા મોડી સાંજે જ વરસાદ ખાબકે છે. અંદાજે અડધાથી એક કલાકમાં ભારે ઝાપટા પડીને તે બંધ થઇ જાય છે. રવિવારે પણ શનિવારનું પુનરાવર્તન થયું હતું.આખો દિવસ સ્વચ્છ વાતાવરણ છતાં મોડી સાંજે સાડા સાતે ભારે ઝાપટા પડ્યા હતા. અંદાજે અડધા કલાક ચાલેલા ભારે ઝાપટાને કારણે ક્યાંક ક્યાંક પાણી ભરાયા હતા. ઉપરાંત રવિવારની રજા માણવા નીકળેલા લોકો ભીંજાય જતા રંગમાં ભંગ પડ્યો હતો.
ધારી : ભાભીની લાજ લેવાનો દિયરનો પ્રયાસ
ધારીના પ્રેમપરામાં રહેતી પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે વંડી ટપીને અંદર આવેલા તેના સગા દિયરે લાજ લેવાનો પ્રયાસ કરી માર માર્યાની ઘટના બનતા ભારે ચકચાર ફેલાઇ છે.આ ઘટના ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના સુમારે ધારીના પ્રેમપરામાં બની હતી. જ્યાં દિનેશ નાનકદાસ મારૂ નામના દલિત બાવાજીની પત્ની ઘરમાં એકલી હતી ત્યારે તેનો સગો દિયર મહેશ નાનકદાસ મારૂ વંડી ટપીને ઘરમાં આવ્યો હતો. મહેશે પોતાની ભાભીની લાજ લેવાનો પ્રયાસ કરી પછાડી દઇ લાફા માર્યા હતા.જો કે, આ મહિલાએ રાડારાડ કરતા મહેશ મારૂ ત્યાંથી નાસી છુટયો હતો. સગી ભાભી પર નજર બગાડનારા આ શખ્સ સામે ધારી પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે. રેખાબેન મારૂએ આ બારામાં તેની સામે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હે. કોન્સ્ટેબલ આર.બી. જાડેજા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.સગી ભાભી પર નજર બગાડનારા શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
જુનાગઢ : ચાર વર્ષનાં બીમાર માસૂમને તબીબે ફડાકો ખેંચી લીધો
જુનાગઢમાં તાવમાં પટકાયેલા એક ૪ વર્ષનાં માસુમ બાળકની તપાસ કરતી વખતે બાળકે તેમનાં હાથને પગ અડાડી દીધો. કોઇ ભયંકર ગુનો તેણે આચર્યો હોય તેમ તબીબે તેને એક લાફો ઝીંકી દેતાં બાળકનાં પિતાએ તબીબ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, જૂનાગઢમાં સેલ્સટેક્ષ ઓફિસમાં નોકરી કરતા હરેશભાઇ રણજીતસિંહ ચંદેલાનાં ૪ વર્ષીય પુત્ર અમિતને તાવ આવતો હતો. અમિતને કાયમી ધોરણે સરદારબાગ રોડ ઉપર આવેલી દ્વારકાધીશ માર્કેટમાં દવાખાનું ધરાવતા પેડીયાટ્રીશીયન ડૉ. વિજય ભાલોડિયાની ટ્રીટમેન્ટ અપાતી હોઇ સ્વાભાવિકપણે હરેશભાઇ તેમનાં પત્ની સાથે ડૉ. ભાલોડિયા પાસે જ ગયા.અમિત પિતાનાં ખોળામાં બેઠો હતો અને ડોક્ટર તેની છાત પર સ્ટેથોસ્કોપ મુકીને તપાસતા હતા. પુખ્ત વયની વ્યક્તિ જેવી તન-મનની સ્થિરતા બાળકમાં ન હોય એ દેખીતી વાત છે. અમિતે પોતાનો પગ હલાવ્યો. જે ડૉ. વિજયનાં હાથ ઉપર લાતની જેમ વાગ્યો.
અમદાવાદમાં ૩૮૪ લૂંટ, ૯૪ અપહરણ,૪૯ ખૂન
ગુજરાતના મેગાસિટી અમદાવાદનો ક્રાઇમ રેકોર્ડ વધતો જાય છે. પાછલા એક વર્ષમાં નોંધાયેલા ગુનાની સરખામણીમાં ચાલુ વર્ષના છ મહિનામાં નોંધાયેલા ગુનાનું પ્રમાણ વધારે છે. કુલ ૩૨ પ્રકારના ગુના પૈકી લૂંટફાટના ગુનાઓમાં ડિટેક્શન ઓછું જોવા મળે છે.અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં ૮૩ ખૂન થયાં હતાં અને ૫૦ કેસમાં ખૂનનો પ્રયાસ થયો હતો. લૂંટફાટના ૮૪૪ , ચેઇન સ્નેચિંગના ૫૨૨, વાહનચોરીના ૪૩૩૨ અને ચીટિંગના ૨૦૫ કેસ પોલીસ ચોપડે નોંધાયા હતા, જેની સામે જુલાઈ, ૨૦૧૦ સુધીના આંકડા જોઈએ તો ૪૯ ખૂન છે. ૩૦માં ખૂનનો પ્રયાસ છે. લૂંટફાટના ૩૮૪ કેસ બન્યા છે. ચેઇન સ્નેચિંગના ૨૬૨, વાહનચોરીના ૨૧૨૩ તેમજ ચીટિંગના ૧૦૮ કિસ્સા બન્યા છે.અમદાવાદમાં અપહરણની ઘટનાઓ પણ ઓછી થતી નથી. પાસામાં પકડાયેલી વ્યક્તિની સંખ્યા બે વર્ષમાં વધી છે. ગયા વર્ષે ૮૮૨ આરોપીને પાસામાં પકડવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે છ મહિનાના ગાળામાં ૫૦૦ને પોલીસે પકડ્યા છે. જોકે રાયોટિંગના કેસ ઝડપથી ઉકલી જાય છે. વાહનચોરીમાં પોલીસ પાસે કોઈ તરકીબ નથી, જેથી તે ગુનો ઉકેલવાની ટકાવારી સાવ ઓછી જણાય છે. છ માસમાં માત્ર ૧૧ ટકા ભેદ ઉકેલાયો છે.
ગોડમધરનો વોન્ટેડ પુત્ર કાનો જાડેજા સુરતમાંથી ઝડપાયો
પોરબંદરમાં વર્ષ ૨૦૦૫માં ભાજપ અગ્રણી કેશુ નેભા ઓડેદરાની સરાજાહેર હત્યા કરવાના ગુનામાં પાંચ વર્ષથી ફરાર ગોડમધર સંતોકબેનનો પુત્ર કાનો સુરત પાસેથી પકડાયો છે. જો કે પોલીસે આ બાબતે કઈ કહેવાના બદલે મૌન સેવી લેતા અનેકવિધ અટકળ થઇ રહી છે.અંગત અદાવતમાં ગોડમધરના ત્રણ પુત્ર કાંધલ, કરણ અને કાનાએ ૧ માર્ચ ૨૦૦૫ના સવારે ધોળે દિવસે ભર બજારે કેશુ નેભાને ગોળીઓ ધરબી હત્યા કરી હતી. હત્યાના ૨૪ કલાકમાં જ પોલીસે કાંધલ, કરણને ઝડપી લીધા હતા. જ્યારે કાનો રાજ્ય બહાર નાસી ગયો હતો. બનાવના બે વર્ષ પછી જામીન પર છુટેલો કરણ રાજકોટમાં ૨૦/પ/૨૦૦૬ના સગા ભાભી એટલે કે કાંધલની પત્ની રેખાને સાત ગોળી ધરબીને હત્યા કરી ભાગી ગયો હતો. તેને પોલીસે મુંબઇમાંથી પકડ્યોહતો. પરંતુ, કાનો આજ દિન સુધી ફરાર હતો.દરમિયાન ફરાર કાના અંગે સ્થાનિક પોલીસને સચોટ માહિતી મળતા તેને ઉઠાવી લેવાયો હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ અંગે સત્તાવાર કંઇ જાણકારી ન હોવાનું કહી મૌન ધારણ કરી લીધું છે. ૨૦૦૬માં કાંધલ પણ રાજકોટમાંથી પોલીસ જાપ્તો તોડીને નાસી ગયા બાદ બે વર્ષ પછી પૂનામાંથી પકડાયો હતો. સૂત્રોના કહેવા મુજબ, કેશુ નેભા કેસ પોરબંદરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે અને એ કેસમાં તેમના વિરુધ્ધ મજબૂત પુરાવા છે. સમાધાનની કોઇ ગુંજાઇશ નથી ત્યારે સાત વર્ષથી ફરાર કાનો એકાએક પકડાઇ જતાં ભારે ચકચાર જાગી છે.
કપાસીયા તેલમાં ભેળસેળ કરનાર વેપારીને ત્રણ માસની કેદ
કાપસીયા તેલમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીને મેટ્રેપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી.પટેલે ત્રણ માસની કેદની સજા ફટાકારી છે.આ કેસની વિગત એવી છેકે વાસણા વિસ્તારમાં યોગેશ્વર વિ-૨ પાસે આવેલા મહાલક્ષ્મી કિરાણા સ્ટોર ખાતેથી અમદાવાદ મહાનગર પાલીકાના હેલ્થ વિભાગના ઇન્સ્પેકટર કેતન મહેતાએ દરોડો પાડી લુઝ ડબ્બામાંથી તેલના નમુના લીધા હતા. તેમજ તે નમુના પૃથ્થકકરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીને મોકલી આપ્યા હતા. તે કપાસીયા તેલમાંથી આયોડીનની ઓછી માત્રા, તેનો બી.આર.રિડીંગ પણ ખુબ ઓછો આવ્યો હતો.જેને આધારે સ્ટોરના માલીક ફુલારામ પદમાજી પ્રજાપતિ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તે કેસમાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી.પટેલે નોંધ્યું હતું કે લોકો તેલનો રોજબરોજના ખાણામાં ઉપયોગ કરે છે. ઝુંપડપટ્ટીથી લઇ બંગ્લા સુધી તેનો ઉપયોગ થાય છે. તે કિસ્સામાં જો સજા ન કરવામાં આવે તો કાયદાનો હેતુ રહે નહી માટે આરોપીને સજા કરવી આવશ્યક છે. તમામ દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપી વેપારીને ત્રણ માસની કેદ તથા રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.
મરીમાં ભેળસેળ કરનાર વેપારીને છ માસની કેદ
ભેળસેળ યુક્ત કાળા મરીનું વેચાણ કરનાર વેપારીને મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી. પટેલે છ માસની કેદની સજા ફટકારી છે. આરોપીને જો ભેળસેળના ગુનામાં સજા ન કરવામાં આવે તો કાયદાનો અર્થ ન રહે તેવી નોંધ સાથે મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ કેસની વિગત એવી છેકે સરખેજ વિસ્તારમાં હરીઓમ કિરાણાસ્ટોર ખાતે ગત ૧૮મી જુન ૨૦૦૮ના રોજ અમદાવાદ મહાનગર પાલીકાના હેલ્થ વિભાગના ઇન્સ્પેકટર દ્વારા કાળામરીની ખરીદી કરવામાં આવી હતી. તેના નમુના પૃથ્થકરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીને મોકલી આપવામાં આવ્યા હતા. જેના રીપોર્ટમાં એવી હકીકત બહાર આવી હતીકે આ મરી ભેળસેળ યુકત છે. તેને આધારે હરીઓમ કિરાણાસ્ટોરના માલીક સંદપિ ત્રિકમભાઇ પ્રજાપતિ વિરૂદ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી.પટેલે આરોપીને છ માસની કેદ તથા રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.
જીવનમાં ક્રોધ વિનાશ વેરે છે : આચાર્ય ગુણરત્નસૂરિ
ક્રોધ માનવીને ભાન ભુલાવી વિનાશ વેરે છે. રામાયણ અને મહાભારતમાં આવાઅનેક ર્દષ્ટાંતો છે. તમને જેના પર ક્રોધ આવે તેને ૧૦ રૂપિયા આપવાનું શરુ કરો ક્રોધ ભાગી જશે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે આ શબ્દો ઉમરા સંઘ ખાતે રવિવારે યુવાનોને સંબોધતા કહ્યા હતા. આ પ્રસંગે સામૂહિક આરાધવના કરતા ૬૫૦ યુવાનો અને હજારો શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે ચાતુમૉસ નિમિત્તે શહેરના વિવિધ સંઘોમાં શિબિર અને આરાધનાના કાર્યક્રમો યોજાયા હતા.ઉમરા સંઘના શિબિરમાં ૬૫૦ યુવાનો દ્વારા સિદ્ધિતપ આરાધના.આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ઉમરા સંઘ ખાતે રવિવારીય શિબિરમાં ૬૫૦ યુવાનો સામૂહિક સિદ્ધિતપની આરાધના કરી રહ્યા છે. આ પ્રસંગે આચાર્ય રશિ્મરત્નસૂરિ મહારાજે કહ્યું કે ભારતની સંસ્કૃતિ મંદિરોની છે. સંતોના દર્શન જીવનમાં નવો પ્રાણ પૂરે છે. અંગ્રેજો પણ ભારતની ત્રણ ચીજોથી પ્રભાવતિ હતા, મંદિરો, સંતો અને સિંહો.
ઠંડા પીણાની બોટલમાં હાનિકારક પદાર્થ નીકળતાં પેપ્સીકો કંપનીને દંડ
શહેરના વાઘોડિયારોડના રહીશે ખરીદેલી સ્લાઈસ ઠંડા પીણાની બોટલમાં જીંદગી જોખમાય તેવા હાનિકારક પદાર્થ નીકળતાં ગ્રાહક કોર્ટ સ્લાઈસ ઠંડા પીણાની ઉત્પાદક પેપ્સીકો કંપનીને રૂ. ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.વાઘોડિયારોડ પર ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતાં જયેશ ચંદ્રભાણ અગ્રવાલે તેમના વિસ્તારની જયશ્રી શારદા સ્ટોરમાંથી ગત નવેમ્બર-૦૭માં પેપ્સીકો ઈન્ડિયા પ્રા. લી. દ્વારા ઉત્પાદીત સ્લાઈસ ઠંડા પીણાની બોટલ ખરીદી હતી. તેમણે આ સીલબંધ બોટલ ઘરે લાવી જોતાં તેમાં ગંભીર પ્રકારની હાનિ પહોંચે તેવો અખાદ્ય પદાર્થ દેખાયો હતો.તેમણે તુરંત દુકાનદાર બબલુ સીંગને બોટલ પાછી લઈ તેમના નાણાં આપી દેવાનું કહેતાં તેણે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે ‘સ્લાઈસ’ના ઉત્પાદક પેપ્સીકો કંપની અને તેનું માર્કેટિંગ મારફત વિતરણ કરતાં વિકાસ માર્કેટિંગનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોંતો. આ અંગેની તેમણે ધારાશાસ્ત્રી વિજય વૈરાગી મારફત પેપ્સીકો કંપની, વિકાસ માર્કેટિંગ અને સ્થાનિક દુકાનદાર સામે અત્રેની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી અને રૂ.૧ લાખનો દાવો કર્યો હતો. આ કેસ ચાલી જતાં ગ્રાહક કોર્ટ વ્યથિત ગ્રાહકને માનસિક ત્રાસ બદલ રૂ. ૧૫ હજારત્રીસ દિવસમાં ચૂકવવાનો પેપ્સીકો કંપનીને આદેશ કર્યો હતો.
મમતાને ફાઈલો પહોંચાડવામાં 11 લાખ સ્વાહા
લાંબા સમયથી રેલવે મંત્રી મમતા બેનર્જીની રેલવે મંત્રાલયમાં ગેરહાજરીને કારણે તેમની પાસે ફાઈલો પહોંચાડવા માટે એક વર્ષથી વધારે સમયમાં સરકારી ખજાનાના 11 લાખ રૂપિયા સ્વાહા થઈ ચુક્યા છે. ફાઈલોને મંજૂરી અપાવા માટે મમતા પાસે લઈ જવા માટે પાંચ અધિકારીઓની દિલ્હી અને કોલકત્તા વચ્ચેની ભાગદોડ પર રેલવેને 11,23,550 રૂપિયાનો ખર્ચો થયો છે. આ પાંચ અધિકારીઓ ક્રમશ: રેલવે મંત્રીના અધિકારી ઓન સ્પેશ્યલ ડ્યુટી ગૌતમ સાન્યાલ, ખાનગી સચિવ શાંતનુ બસુ, કાર્યકારી નિદેશક જે. કે. સાહા, અધિક ખાનગી સચિવ એસ. અશોક અને એ.પી.એસ રતન મુખર્જી છે. સાહા અને મુખર્જીની હવાઈ યાત્રાઓનું ભાડું રેલવે આપી શકતી નથી. પરંતુ અન્ય ત્રણ અધિકારીઓનું વિમાનથી એક જુલાઈ, 2009થી 30 જૂન, 2010 સુધી કોલકત્તા જવા અને આવવા પર 8,73,964 રૂપિયા ખર્ચાય ચુક્યા છે. માહિતીના અધિકાર હેઠળ આપવામાં આવેલા જવાબમાં જણાવાયું છે કે તેના સિવાય રેલવેના પાંચેય અધિકારીઓ આ સમયગાળામાં મમતાને મળવા માટે કોલકત્તા જવા પર 2,49,604 રૂપિયાનું ટીએ-ડીએ પણ મેળવી ચુક્યા છે. આરટીઆઈ કાર્યકર્તા એસ.સી.અગ્રવાલે મમતા બેનર્જીને મળવા જનારા અધિકારીઓ અને ફાઈલોને દિલ્હી-કોલકત્તા લાવવા-લઈ જવા માટેના ખર્ચનું વિવરણ માગ્યું હતું. વિપક્ષ મમતા બેનર્જી પર રેલવે મંત્રાલય સિવાય પોતાના ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન આપવાનો આરોપ લગાવી રહ્યું છે. જો કે મમતાએ ગત સપ્તાહે સંસદમાં કહ્યું હતું કે દિલ્હીમાં તેમની ગેરહાજરીની તેમના મંત્રાલયના કામકાજ પર અસર પડશે નહીં. તેમનું કહેવું છે કે તેમના મંત્રાલયનું પ્રદર્શન ગત 50 વર્ષોમાં શાનદાર છે.
શ્રીલંકાએ ફરી સેહવાગ સાથે દગો કર્યો
વિરેન્દ્ર સેહવાગ અને સૂરજ રણદિવના નો બોલના વિવાદનો ગરમાવો હજૂ શમ્યો નથી. ત્યાં જ સ્થાનિક અમ્પયાર કુમાર ધર્મસેનાએ બે ખોટા અમ્પાયરિંગ કરી ટીમ ઇન્ડિયા સાથે દગો કર્યો છે. ભારતીય બેટ્સમેન વિરુદ્ધ બે વિવાદાસ્પદ અમ્પયારિંગ થયા અને આ બન્ને વખતે ધર્મસેના અમ્પાયર તરીકે હતા. પહેલા તેમણે વિરેન્દ્ર સેહવાગ અને પછી સુરેશ રૈનાને પોતાના ખોટા અમ્પાયરિંગનો શિકાર બનાવ્યો હતો.વિરેન્દ્ર સેહવાગને તેમણે એલબી આઉટ આપ્યો હતો. જો કે, આ બોલ બહાર તરફ જઇ રહી હતી. અમ્યાયરિંગનો નિર્ણય હોય છે કે શંકા હોય તો નિર્ણય બેટ્સમેનના હકમાં આપવામાં આવે છે. પરંતુ ધર્મસેનાએ જરા પણ વિચાર કર્યા વગર કુલસેકરાની ઓવરમાં થયેલી અપિલ દરમિયાન સેહવાગને આઉટ જાહેર કરી દીધો હતો.ધર્મસેનાના વિવાદાસ્પદ નિર્ણયનો બીજો શિકાર સુરેશ રૈના બન્યો છે. મેથ્યુસની ઓવરમાં એક બોલ સુરેશ રૈનાના બેટની નજીકથી નિકળી હતી. અને ધર્મસેનાએ તેને આઉટ આપી દીધો હતો. રીપ્લેમાં સ્પષ્ટપણે જણાતું હતું કે બોલ બેટને અડ્યો ન હતો.
હોટ જ્હોનનાં તેની કો-સ્ટાર્સ સાથે લવ સિન
બોલિવૂડ હોટ હેન્ડસમ હંક જ્હોન અબ્રાહિમ ઓન સ્ક્રિન હિરોઈનનો સાથે હોટ સિન કરવામાં ઘણો લકી છે. જ્હોને આજ સુધીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાં મોટાભાગની ફિલ્મોમાં તેણે તેની કોસ્ટાર સાથે લવ મેકિંગ સિન કરેલાં છે.જ્હોને અત્યાર સુદી બિપાશા બાસુ, કેટરિના કૈફ, વિદ્યા બાલન અને ઉદિતી ગોસ્વામી સાથે લવ મેકિંગ સિન આપેલાં છે. હવે તેની આગામી ફિલ્મ આશિયાનેમાં સોનલ સહેગલ સાથેનાં લવ મેકિંગ સિન કરીને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આ ફિલ્મમાં જ્હોને સોનલ સાથે કેટલાયે હોટ સિન અને કિસીંગ સિન આપ્યાં છે. આમ તો આ લિસ્ટ અહી પતે તેમ નથી. તે તેની આગામી ફિલ્મ ઝૂઠ હી સહીમાં પણ તેની કોસ્ટાર સાથે આવા સિન કરતો નજર આવશે.
જોરે શોરે વેચાઈ રહી છે હાઉડીની સેક્સ ટેપ
હાઉડી મોન્ટેગે અત્યાર સુધીમાં તેની બ્રેસ્ટની 10 જેટલી સર્જરી કરવી છે અમેરિકન ટીવી સ્ટાર અને હોલિવૂડમાં પ્રખ્યાત સિંગર હાઉડી મોન્ટેગની સેક્સ ટેપ આજકાલ ઈન્ટરનેટ પર ફટાફટ વેચાઈ રહી છે.જી હાં, આ સેક્સ ટેપ હાઉડીએ બ્રેસ્ટ સર્જરી કરાવી તે પહેલાની છે.આ ટેપમાં તે તેનાં એક્સ પતિ સ્પેંસર પ્રાટ સાથે અંતરંગ સંબંધો બનાવી રહેલી બતાવવામાં આવી છે. આ વિશે હાઉડીએ જણાવ્યું હતું કે, ''આ સેક્સ ટેપનાં બે ભાગ છે એક ભાગમાં હું સર્જરી પહેલાંની બતાવવામાં આવી છુ અને બાદમાં મારી બ્રેસ્ટ સર્જરી બાદની હૈદી દેખાડવામાં આવી છે.''હાલમાં લોકો આ સેક્સ ટેપને ઈન્ટરનેટ પર ઘણી મજા લઈને જોવે છે હવે જોવું એ રહ્યું કે આ ટેપ ક્યારે હટાવવાંમાં આવશે.ઉલ્લેખનીય છે કે જો મોટી રકમ સાથે હાઉડી કે તેનો પૂર્વ પતિ આ ટેપ ખરિદવામાટે આગળ આવે તો કંપની તે વેચવાં તૈયાર છે.
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ : ખુશ રહો ખુશ રાખો
સાચું કરિયર પસંદ કરવું બહું સહેલી વાત નથી. ઘણા વિદ્યાર્થીઓ માટે ૧૨ ધોરણ પછી કારકિર્દીમાં ઝંપલાવી દેવું જરૂરી હોય છે પણ આ કેવી રીતે શક્ય બને કારણકે આજકાલ તો ગ્રેજયુએશનની ડિગ્રી પણ પૂરતી નથી ગણાતી ત્યારે ૧૨મા પછી સારા ક્ષેત્રનો કોર્સ કરવાની પસંદગી અઘરી બને. પરંતુ જો તમને તમારી ક્ષમતા અને આવડતો અંગે ખબર હોય તો આ પસંદગી તમારે માટે અઘરી નથી.તમને જે કામ કરવાની મજા આવે તે કામ માટે તમે તમારી જાતને તૈયાર કરીને આગળ વધશો તો સફળતા હાથ વગી રહેશે. આજે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અથવા તો ફુડ ઇન્ડસ્ટ્રી એક એવું ક્ષેત્ર છે જેમાં સતત માત્ર વિકાસ જ થઇ રહ્યો છે. તમે શહેરમાં જ જુઓ તો ખાઉ ગલીથી માંડીને રેસ્ટોરાં રોડ્ઝ વધી ગયાં છે તો બિઝનેસ હોટલ્સની મોટામાં મોટી બ્રાંડ આજે શહેરમાં સ્થપાઇ ચૂકી છે.૨૦૦૫ની સાલમાં એવી વાત હતી કે આશરે ૧૨ કરોડ લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે પણ ૨૦૧૦માં આ આંકડો કમસેકમ ૨૫-૩૦ કરોડ થઇ ચૂકયો છે. ફુડ સર્વિસ પર્સોનલ માટે સામાન્ય સંજોગોમાં ૧૦-૧૨ જેટલી પોઝીશન્સ ઉપલ્બધ હોય છે. કયુલિનરી સ્કિલ્ઝ અને હોસ્પિટાલીટી એજ્યુકેશન મેળવીને ૨૧મી સદીની અવનવી માંગને પહોંચી વળે તેવા યંગસ્ટર્સની બહુ ઉંચી માંગ છે.જો તમારામાં આવડત હશે, ટેલન્ટ હશે, વર્ક અથિકસ સારા હશે તો પછી તમારો વિકાસ ખૂબ ઝડપથી થશે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટના આકર્ષક ક્ષેત્રમાં તમારા સ્વગે અને મહત્વકાંક્ષાઓ પુરાં કરવા માટે ‘સ્કાય ઇઝ ધી લિમીટ’ જેવો ઘાટ છે. જરૂરી છે કે તમારા સ્વપ્નાંને તમે ઉઘાડી આંખે જુઓ અને તે પૂરાં કરવાના રસ્તે ક્યાંય થોભો નહીં. આ ક્ષેત્રમાં સફળતાના મામલે કહી શકાય કે, ‘ તમે ક્યાંથી શરૂ કરો છો તે નહીં બલ્કે ક્યાં પૂર્ણ કરો છો તે જ અગત્યનું છે.’
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment